અરવલ્લીના માલપુર ગામના બજારમાં આજે બપોરના સમયે વીજળીના થાંભલામાં ફસાઈને તરફડિયાં મારતા કબૂતરનો જીવ બચાવવા માટે થાંભલા પર ચડેલા શ્રમજીવી યુવાન વીજકરંટ લાગવાથી જમીન પર પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આજે માલપુરના બજારમાં આવેલા વીજ થાંભલામાં કબૂતર ફસાઈ ગયું હતું. લોકોની અવરજવર થઈ રહી હતી અને ઘણા લોકો થાંભલામાં ફસાયેલા કબૂતરને જોઈ રહ્યા હતા, ત્યારે દિલીપભાઇ નામનો યુવક પણ બજારમાં આવ્યો હતો. એ વખતે તેમણે વીજ થાંભલામાં ફસાઈને બચવા માટે તરફડિયાં મારતા કબૂતરને જોયું.
તરફડિયાં મારતા કબૂતરને બચાવવા માટે તેમણે થાંભલા પર ચડવાનું નક્કી કરી લીધું હતું. ત્યારે કબૂતરને કાઢવા માટે લાંબી લાકડી ન મળતાં દિલીપ ભાઈએ લોખંડની પાઈપ આગળ લાકડાનો ડંડો બાંધી દીધો હતો અને થાંભલા પર ચડવાની શરૂઆત કરી હતી. એ દરમિયાન દિલીપભાઈ સામે બજારમાં કોઈએ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ દિલીપભાઈની દરેક ગતિવિધિનો વીડિયો એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો.
દિલીપભાઈ વીજ થાંભલા પર ચડીને ડંડા વડે વીજતારમાંથી બચવા માટે તરફડિયાં મારતા કબૂતરને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ દરમિયાન ડંડો તારને અડી ગયો અને અચાનક જ ધડાકાભેર સ્પાર્ક સાથે વીજળીનો ઝાટકો દિલીપભાઈને લાગ્યો જેને કારણે દિલીપભાઈ છેક ઊંચાઈ પરથી જમીન નીચે પટકાયા હતા જેને કારણે તેમને માથામાં ગંભીર ઈજાઓ થતાં પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. ઘડી ભરમાં થાંભલા પર ચડેલા દિલીપભાઈ જમીન પર પટકાતાં આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા. તેમને સારવાર અર્થે ખસેડાય એ પહેલા જ તેમનું કરુણ મોત થતાં શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડયું હતું.\
અરવલ્લી જિલ્લાના માલપુર ગામે રહેતા આશરે 35 વર્ષીય દિલીપભાઈ વાઘેલાના પરિવારમાં પત્ની રેખાબેન તેમજ બે પુત્ર પવન અને બોબી તેમજ પુત્રી તુલસી છે. દિલીપભાઈ છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચાલવતા હતા.
From –Banaskantha Update