કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન સાથે મુલાકાત કરી છે. ઉદ્ધવ ઠાકરે સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે વડાપ્રધાન નિવાસ સ્થાને પહોંચીને મોદી સાથે મુલાકાત કરી છે.
કોરોનાની મુશ્કેલી હોય કે વેક્સિનેશન બાબત, GST કલેકશનની વાત હોય કે પછી મરાઠા અનામત પર હાલમાં જ આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય સહિત બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે દિલ્હીની મુલાકાતે છે. કોરોના મહામારીના આ સમયગાળામાં વેક્સિનનો અભાવ, સંક્રમણની ત્રીજી લહેર સામે લડવાની તૈયારી, મરાઠા અનામત અને ચક્રવાત રાહત માટે આર્થિક સહાય જેવા મુદ્દાઓની ચર્ચા કરી છે. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા બાદ બીજી વખત વડાપ્રધાન સાથે મુલાકાત કરી છે. શક્યતા છે કે ઉદ્ધવ વાવાઝોડાને કારણે થયેલા નુકસાન પર મોદી પાસેથી મહારાષ્ટ્ર માટે 1000 કરોડ સહાયની માગ કરી શકે છે.
PM સાથેની આ બેઠક પૂર્વે CM મોડી સાંજે NCPના પ્રમુખ શરદ પવારને મળ્યા છે. 15 દિવસમાં બંને નેતાઓની આ બીજી બેઠક છે. આ બેઠક અંગે મંત્રી એકનાથ શિંદેએ કહ્યું, ‘વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પહેલાં ઉદ્ધવ ઠાકરે શરદ પવારને મળ્યા અને મરાઠા અનામત સહિતના અનેક મુદ્દાઓ પર વાત કરી.
સીએમ ઉદ્ધવ ઠાકરે વિશેષ વિમાન દ્વારા દિલ્હી પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીએમ ઉદ્ધવ ઇચ્છે છે કે તાઉ-તે વાવાઝોડાને કારણે થયેલા નુકસાન સામે ગુજરાતની જેમ સહાય મળે. જણાવી દઈએ કે વાવાઝોડા બાદ વડાપ્રધાને ગુજરાત માટે એક હજાર કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી.
From – Banaskantha update