હારીજના ભલાણા ગામ પાસેની કેનાલમાં ઝંપલાવી બે બહેનપણીઓએ જીવન ટૂંકાવી લીધું. જેના કારણે બંન્નેના પરિવારમાં દુખની લાગણી છવાઇ ગઇ છે. ખરીદી કરવા જવાનું કહીને બપોરથી નીકળેલી દીકરીઓ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આ અંગે હારીજ પોલીસે સીઆરપીસી 174 મુજબ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શંખેશ્વર તાલુકાના સિપર ગામે રહેતા જગદીશભાઈ અજમલભાઈ જાદવ (નાડોદા પટેલ )ની 21 વર્ષની ભત્રીજી સ્નેહલ નનુભાઈ જાદવની અને મુબારકપુરા ગામે રહેતી તેની 23 વર્ષની બહેનપણી જયશ્રી ગગજીભાઈ સિંધવ ગત તા.01-06-2021ને મંગળવારે શંખેશ્વર ખાતે ખરીદી કરવા જવાનું કહીને ઘરમાંથી નીકળ્યા હતા. બંને બહેનપણીઓ મોડે સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ ચિંતિત થઇને શોધખોળ શરૂ કરી હતી.
પરિવારે શોધખોળમાં કરતાં જે હકીકતમાં સામે આવ્યું કે, બંને સહેલીઓએ કોઈ અગમ્ય કારણોસર હારીજના ભલાણા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. આ કરુણ બનાવને પગલે બંનેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે હારીજ પોલીસે સીઆરપીસી 174 મુજબ નોંધ કરી છે.
Read More: વીડિયો બનાવી કેનાલમાં છલાંગ લગાવનાર પરિણીતાનો મૃતદેહ ત્રીજા દિવસે મળ્યો
થોડા દિવસ પહેલા પાટણમાં જાનમાં ગયેલી પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. યુવતીએ પાટણ જિલ્લાના ચાણસ્મા-હારીજ હાઈવે પર આવેલી નર્મદાની મુખ્ય કેનાલ પાસે મોબાઈલમાં મૃત્યુનું કારણ દર્શાવતો વિડીયો બનાવીને આપઘાત કર્યો હતો. જેના આધારે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન તેનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો. સુસાઈડ પહેલા પરિણીતાએ વિડીયો તેની બહેનને મોકલ્યો હતો, જેમાં તેણીએ પ્રેમમાં દગો મળ્યો હોવાનું કારણ જણાવ્યું હતું.
From – Banaskantha update