બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર આવે તો તે સમયે પહોંચી વળવા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. વૈજ્ઞાનિકો અને ડોકટરોના મંતવ્યો મુજબ, કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાનું જોખમ વધુ છે. ત્યારે આ વાયરસની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા બનાસકાંઠા જીલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ જીલ્લા આરોગ્ય વિભાગે અગમચેતી વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે.
બનાસકાંઠા જીલ્લા કલેકટર આનંદ પટેલના વડપણ હેઠળ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે જીલ્લાના તમામ 14 તાલુકા માટે આરોગ્યની 14 ટીમો બનાવી તાલીમ આપવાની શરૂઆત કરી દેવાઇ છે. જેમાં એક ટીમમાં 3 ડોકટરો અને 2 સ્ટાફ નર્સ બહેનો કુલ-5 આમ જીલ્લા તમામ 14 તાલુકાઓ દીઠ પાંચ જણની ટીમ બનાવી તેમને તાલીમ આપવામાં આવી રહી છે.
આમ જીલ્લામાં કુલ-70 આરોગ્ય વિભાગના કર્મયોગીઓને તાલીમ બધ્ધ કરવામાં આવી રહ્યા છે. જેમને બે બેંચમાં તાલીમ આપવામાં આવી રહી છે. પ્રથમ બેંચ તા. 1 જૂન અને બીજી બેંચ તા. 2 જૂન 2021 થી શરૂ કરવામાં આવી છે. આ તમામ ટીમોને પાલનપુર સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રીશિયન ડૉ. હીના દેસાઇ અને બનાસ મેડીકલ કોલેજના પિડીયાટ્રીશિયન ડૉ. અંજુમ દ્વારા તાલીમ આપી કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા આ સ્ટાફને તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમ બનાસકાંઠા જીલ્લા એપેડેમીક મેડીકલ ઓફીસર ડૉ. એન. કે. ગર્ગે જણાવ્યું છે.
From – Banaskantha Update