વાહ રે રૂપાણી સરકાર! : સરકાર પાસે વેક્સીન નથી ત્યારે ખાનગી હોસ્પિટલોને વેક્સિનનો જથ્થો કેવી રીતે મળી રહ્યો છે? આ મામલે લોકો પણ વિચારમાં છે.
ગુજરાત રાજ્યમાં એક તરફ મફત વેક્સિન માટે રજીસ્ટ્રેશનના કોઈ ઠેકાણા દેખાયી રહ્યા નથી. રજીસ્ટ્રેશન માટે લોકો ફોન ખોલીને સ્લોટ મળી જાય તેની રાહ જોઈને બેસી રહે છે. બીજી બાજુ પ્રાઈવેટ હોસ્પિટલો 1000 રૂપિયા લઈને ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન પર લોકોને વેક્સિન આપી રહી છે. હોસ્પિટલોને આ વેક્સિન 600 રૂપિયાની કિંમતે પડે છે, તેમાં પોતાનો ચાર્જ ઉમેરી તે 1000 રૂપિયામાં લોકોને આપે છે.
એકબાજુ સ્લોટ બૂક કરાવવા લોકો ફાં ફાં મારે છે. બીજી બાજુ પૈસા આપીને વેક્સિન લેવા GMDC બહાર ગાડીઓની લાઈનો લાગે છે. છતાં આ મામલે સરકારના પેટનું પાણી હલતું દેખાતું નથી. આ મામલે મુખ્યમંત્રીનું કહેવું છે કે, હોસ્પિટલોને કેન્દ્રએ બનાવેલી સિસ્ટમ મુજબ કંપની પાસેથી ડોઝ મળી રહ્યો છે. ત્યારે સવાલે એ થાય છે કે સરકારે 3 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. જે હજુ વેક્સિન કંપની પૂરો કરી શકી નથી, ત્યારે ખાનગી હોસ્પિટલોને વેક્સિનનો જથ્થો કેવી રીતે મળી રહ્યો છે? આ મામલે લોકો પણ વિચારમાં છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદના સાયન્સ સિટીમાં બનેલી રહેલા એક્વેરિયમ પાર્ક તથા મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં કોરોના સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે કોરોનાની ત્રીજી વેવનો એક્શન પ્લાન સરકાર બનાવીને જાહેર કરશે એમ પણ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રાઈવેટ હોસ્પિટલો કંપની પાસેથી વેક્સિન મેળવીને આપી રહી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વેક્સિનેશન મોટા પાયે થાય અને ઝડપથી ગુજરાતના લોકોને વેક્સિન પ્રાપ્ત થાય. રાજ્ય સરકારે ભારત સરકારના સહયોગથી વેક્સિનેશનમાં 45થી ઉપરના લોકોનો ફર્સ્ટ ડોઝ ચાલુ છે. બીજો ડોઝનો વારો આવે ત્યારે એ આપવામાં આવશે. 18થી 44 વર્ષના લોકોને પણ વિનામૂલ્યે રાજ્ય સરકાર વેક્સિન આપશે.
જે ખર્ચ થશે એ રાજ્ય સરકાર ભોગવશે. એકસાથે રસી લેવા મોટી સંખ્યામાં યુવાનો ભેગા ન થાય અને ધક્કા ન ખાવા પડે એ માટે રજિસ્ટ્રેશન ચાલુ રખાયું છે. અત્યારે દરરોજ સવા લાખ લોકોને રસી મફત આપવામાં આવે છે. જોકે ભવિષ્યમાં રજિસ્ટ્રેશનની જરૂર નહીં રહે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વેક્સિનેશન માટે કેન્દ્ર સરકારે પ્રાઈવેટ હોસ્પિટલોને ચાર્જ લઈને વેક્સિન આપવાની વ્યવસ્થા કરી આપી છે. વેક્સિન ઉત્પાદન કરતી કંપનીઓ સીધી ખાનગી હોસ્પિટલોને ચાર્જ લઇને વેક્સિન આપી રહી છે. એના આધારે ખાનગી હોસ્પિટલોમાં જેને પૈસા આપીને વેક્સિન લેવી છે એના માટે વ્યવસ્થા ચાલુ છે. ગુજરાતમાં અપોલો, શેલ્બી, કેડી તથા સુરતમાં મહાવીર હોસ્પિટલને કંપનીઓએ વેક્સિનનો જથ્થો આપ્યો છે અને જેમને જરૂર હોય એ લોકો ચાર્જેબલ વેક્સિન લગાવી શકે છે.
કોરોના પર સંપૂર્ણ કંટ્રોલ આવી ગયો હોવાનો મુખ્યમંત્રીએ દાવો કર્યો, સાથે જ તેમણે કહ્યું હતું કે જોકે કોરોના પૂરો થઈ ગયો હોય એવું આપણે માનતા નથી. એપ્રિલમાં 14,000 કેસ રોજના આવતા હતા. ગઈ કાલે 2500 કેસ આવ્યા છે. કેસ ઘટી ગયા છે એટલે હાલના તબક્કે આ હોસ્પિટલ ચાલુ કરવામાં નહીં આવે. જરૂર પડે ત્યારે હોસ્પિટલ ચાલુ કરવામાં આવશે. જરૂર પડે ત્યારે 24 કલાકમાં હોસ્પિટલ ચાલુ કરી શકાશે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં એક સમયે 500 બેડ ભરેલાં હતાં.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત સરકારે આરોગ્ય વિભાગ, તજજ્ઞ તબીબોની ટાસ્કફોર્સ, કોર ગ્રુપ એમ તમામ સ્તરે ઉચ્ચ સ્તરીય બેઠકો શરૂ કરીને સંભવત: આવનારી થર્ડ વેવ સામે પણ મુકાબલા માટેનું વિસ્તૃત આયોજન કરી લીધું છે. તબીબી નિષ્ણાતો, તજજ્ઞો કોરોનાની ત્રીજી લહેરમાં નાનાં બાળકો સંક્રમિત થવાની પણ શક્યતાઓ તેમણે દર્શાવી છે.
આ સંદર્ભમાં પણ રાજ્ય સરકારે બાળરોગ નિષ્ણાત તબીબો, હોસ્પિટલમાં બાળકો માટે વોર્ડ્સ, વધારાનાં બેડ, ઓક્સિજન, દવાઓ, ઇન્જેકશન વગેરે માટે કોરોનાની પહેલી અને બીજી લહેરના અનુભવોના આધારે સારવાર વ્યવસ્થાની આવનારી સંભવિત ત્રીજી લહેર માટે પણ તૈયારી કરી છે. આ અંગેનો એક્શન પ્લાન પણ આવનારા દિવસોમાં જરૂરિયાત મુજબ જાહેર કરાશે, એમ તેમણે ઉમેર્યું હતું.
From – Banaskantha Update