જગદ્વગુરૂ શંકરાચાર્યના આદેશથી અને પ્રવર ધર્મધીશ સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી દ્વારા સંચાલિત પરમ ધર્મ સંસદ 1008 ભારતભરમાં સનાતન વૈદીક હિન્દુ ધર્મની સર્વોચ્ચ સંસ્થા છે. પરમ ધર્મ સંસદ 1008-ગુજરાત પ્રદેશ પરમ ધર્મસભાના ડીસા વિસ્તારના ધર્માધાયક ગંગારામભાઈ પોપટના નેતૃત્વમાં ગુજરાતના રાજયપાલને ડીસાના નાયબ કલેક્ટર અને મામલતદાર મારફતે એક આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી છે કે, ગાય એ સનાતન ધર્મનો આધાર સ્તંભ છે. ગુજરાતમાં અનેક સામાજીક, ધાર્મિક, સંસ્થાઓ, દાતાઓના સહયોગથી ગૌ-શાળા-પાંજરાપોળો ચલાવે છે અને લગભગ 4,00,000 (ચાર લાખ) ગૌ-વંશ તેમાં આશ્રિત છે.
જેમાં મોટાભાગના પશુઓ ખેડૂતના બિનઉપયોગી, સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા અને કતલખાને જતાં બચાવ્યા છે. તેમને સેવાના ભાવે નિભાવવામાં આવે છે. તેમનો નિભાવ દાતાઓ દ્વારા મળતા દાનથી થતો હોય છે. કોરોના મહામારીમાં દાનનો પ્રવાહ બંધ થતાં બે વર્ષથી ગૌશાળાઓની હાલત ખૂબ જ કફોડી થઈ ગઇ છે. ગૌશાળા-પાંજરાપોળોને મળનારું દાન બંધ થઇ ગયું છે અને મોઘવારીના કારણે દેવું થવા લાગ્યું છે.
રાજસ્થાનમાં રાજ્ય સરકારના ગોપાલન વિભાગ દ્વારા પ્રતિ ગૌવંશ પ્રતિદિન રું. 40ની સહાય આપવામાં આવે છે. ત્યારે પરમ ધર્મ સંસદ 1008 – ગુજરાત પ્રદેશ પરમ ધર્મસભા ગુજરાત દ્વારા માંગણી કરીએ છીએ કે, હાલમાં ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન એક વર્ષ સુધી ગૌવંશ અને અબોલ પશુઓ માટે પ્રતિ પશુ પ્રતિદિન રું. 50 રોકડ સહાય સરકારે અવિલંબ આપવી જોઇએ.
આ પ્રસંગે ધર્માંસદ કિશોરભાઇ શાસ્ત્રી, ધર્માધાયક ગંગારામભાઇ પોપટ, સહ ધર્મધાયક બળદેવભાઇ રાયકા, રાજપુર ડીસા પાંજરાપોળના ભરતભાઇ વારીયા, ગૌભક્ત પરેશભાઇ પંચાલ, મહેશભાઇ મનવર, હિન્દુ સેવા સમિતિના પ્રિતેશભાઇ શર્મા, એડવોકેટ હીનાબેન ઠક્કર, વકીલ ધર્મેન્દ્રભાઇ ફોફાણી, આમ આદમી પાર્ટીના કમલેશભાઇ ઠક્કર, ગૌશાળા-પાંજરાપોળ ફેડરેશનના જગદીશભાઇ સોલંકી, પાર્થભાઇ પંડયા અને યોગેશભાઇ ગૌસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
From – Banaskantha Update