રક્તદાન મહાદનના સૂત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના સાત વર્ષ પૂર્ણ થતાં આજે ડીસામાં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ભાજપના કાર્યકર્તાઓ, સમાજના આગેવાન અને યુવાનો તેમજ મિત્રોએ રકતદાન કરી કપરા સમયમાં સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના 7 વર્ષ પૂર્ણ થયા છે જેને અનુલક્ષીને ભાજપના વિવિધ મોરચા દ્વારા અને સામાજિક સેવાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે ડીસા ખાતે બક્ષીપંચ મોરચા દ્વારા પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં 163 બોટલ રક્ત એકત્ર થયું છે જે રક્ત કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. આ સિવાય તૌકતે વાવાઝોડાના કારણે અનેક લોકોને મોટું નુકસાન થયું છે જે અસરગ્રસ્ત લોકોને પણ મદદ મળી રહે તે માટે સહાયના હેતુથી 5000 રાશન કિટોનું વિતરણ કરવામાં આવશે. જે રાશન કિટો પણ બક્ષીપંચ મોરચા દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડિયા, મહિલા આયોગના સદસ્ય રાજુલબેન દેસાઈ, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી મયંક નાયક, ઉપપ્રમુખ નજાભાઈ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ, જીલ્લા પ્રભારી નંદાજી ઠાકોર, ઉપપ્રમુખ કૈલાશભાઈ માળી, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ રમેશભાઈ પંડ્યા, પૂર્વ ચેરમેન મગનલાલ માળી, પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ માળી તેમજ બનાસકાંઠા જીલ્લા અને તાલુકાના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
From – Banaskantha Update