વડગામ તાલુકાના જુદા જુદા ગામોમાં મ્યુકર માઇકોસિસથી 5ના મોત નિપજી જતાં હડકમ્પ મચી ગયો છે. જેમાં 4 ઓપરેશન વગર, જ્યારે 1 દર્દીનું મહેસાણાની લાયન્સમાં ઓપરેશન કરીને રજા આપ્યા બાદ નિધન થયું છે. હાલ જિલ્લામાં મ્યુકરના કુલ 39 કેસ છે. જેમાં કુલ મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. વડગામના 5 ઉપરાંત ભાભરના ઠક્કર સમાજના 61 વર્ષીય વૃદ્ધનું વડોદરાની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. પાલનપુરની સિવિલમાં નવા સાધનો ખરીદવામાં આવ્યા છે પરંતુ દર્દીઓના ઓપરેશન કરવાની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે જેને લઇ દર્દીઓને અમદાવાદ સુધી લાંબા થવું પડી રહ્યું છે.
મ્યુકર માઇકોસિસ રોગમાં સંપડાયેલા 39 દર્દીઓ હાલ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. તેવામાં પાછલા એક સપ્તાહમાં એકલા વડગામ તાલુકામાં 5 દર્દીઓના મોત નિપજતા હડકમ્પ મચ્યો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે વડગામ તાલુકાના ધોરી, નવીસેધણી, નગાણા ધોતા અને નાંદોત્રાના પેશન્ટને લક્ષણો ડિટેકટ થતા પાલનપુર સિવિલમાં મોકલાવ્યા હતા. જે બાદ ત્યાંથી ઓપરેશન થાય એ પૂર્વ જ 4 પેશન્ટના એક સપ્તાહમાં મોત થયા છે. જેમાં ધોરી ગામમાં 57 વર્ષીય મહિલાને મ્યુકર માઈકોસિસ થયા બાદ પરિવારજનોને સમજાવવા છતાં તે અમદાવાદ ગય નહિ અને દર્દીનું મોત નીપજ્યું હતું.
નવી સેંધણીમાં 61 વર્ષીય મહિલાને મહેસાણા સારવાર માટે મોકલાઈ હતી જ્યાં ઓપરેશન થાય એ પહેલા તેમનું નિધન થયું હતું. નગાણામાં 62 વર્ષીય વૃદ્ધને પણ મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ઓપરેશન થાય તે પહેલા તેમનું મૃત્યુ થયું હતું. અને ધોતા ગામના વૃદ્ધનું પણ મ્યુકર માઇકોસિસથી મોત નીપજ્યું હતું.
જિલ્લામાં 39 દર્દીઓમાં 2 જ પેશન્ટ સાજા થઈને આવ્યા હતા જે પૈકી વડગામ તાલુકાના નાંદોત્રા ગામના 57 વર્ષીય આધેડને મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જેના 3 દિવસ બાદ બુધવારે સાંજે મોત નીપજ્યું હતું. જ્યારે ભાભરના 61 વર્ષીય ઠક્કર સમાજના વડીલનું વડોદરાની ગેલેક્સી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ અત્યાર સુધી કુલ 6 દર્દીઓના મોત નિપજી ચુક્યા છે.
કોરોનામાં સપડાયા બાદ દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. જે બાદ નાકમાં રહેલી ફંગસ એક્ટિવ થતા મ્યુકર માઇકોસિસના રોગમાં પરિણમે છે. ધાનેરાના દર્દીમાં શરૂઆતમાં જ લક્ષણો જણાયા હતા. જોકે તેમની રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી ફંગસ આગળ વધ્યું ન હતું તેમની એન્ટી ફંગસ ટ્રીટમેન્ટ સ્થાનિક કક્ષાએ અપાયા બાદ તેમને ડિસ્ચાર્જ અપાયો હતો.
વડગામ તાલુકાના કોરોના થયો હોય અને મ્યુકરના લક્ષણો જણાતા હોય તેવા કેસો શરૂઆતના દિવસોમાં શોધીને સારવાર માટે મોકલ્યા હતા. જેથી તેવા દર્દીઓ દુર્ભાગ્યે મોતને ભેટ્યા છે. હાલ વડગામ તાલુકાના 2 દર્દીઓ સારવાર હેઠળ છે. ડો. પ્રકાશ ચૌધરી (ટીએચઓ વડગામ)
પાલનપુરની સિવિલમાં થી અત્યાર સુધી 20 દર્દીઓને ઓપરેશન માટે અમદાવાદ રિફર કરાયા છે. એક દર્દી એડમીટ છે. એન્ડોસ્કોપ મશીન ત્રણ-ચાર દિવસમાં આવશે.જે બાદ ઓપરેશન શરૂ કરીશું. જુદા જુદા એક્સપર્ટ સર્જનની ટિમો પણ તૈયાર છે.”ડો સુનીલ જોશી સુપ્રિટેન્ડેન્ટ પાલનપુર સિવિલ
કોરોના બાદ મ્યુકર માઇકોસીસના કેસીસ જોવા મળ્યા હતા. જોકે હજુ લોકો બહાર આવતા નથી એટલે લોકો સુધી પહુચવા આરોગ્ય વિભાગે 3 દિવસમાં 8 હજાર કોરોના સંક્રમિત લોકોની આરોગ્યની તપાસ કરવા 71 ટિમો જશે. એક ટીમમાં 2 મેડિકલ ઓફિસર, સહિતનો સ્ટાફ હાજર રહેશે. ડો નરેશ ગર્ગ (ડિસ્ટ્રીકટ એપેડેમીક ઓફિસર)
From – Banaskantha Update