બનાસકાંઠા જીલ્લામાં સતત પાણીના તળ નીચે જતાં આવનારા સમયમાં ખેડૂતો અને પશુપાલકો માટે કપરી પરીસ્થિતિ ઉભી ન થાય તે માટે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા જળ બચાવવા બનાસ ડેરી અને સરકારના સાથ સહકારથી તળાવ ઉડા કરવામાં આવી રહ્યાં છે. જેમાં 95 કરોડ લીટર વહી જતાં વરસાદી પાણીનો સંગ્રહ થશે.
બનાસકાંઠા જીલ્લા સહિત ડીસા તાલુકામાં આવનારા સમયમાં પાણીની વિકટ પરીસ્થિતિ ઉભી થાય તે પહેલાં રાજય સરકારના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા “બનાસ જળ શક્તિ અભિયાન” અંતર્ગત બનાસ ડેરી અને રાજય સરકારના સાથ અને સહકારથી ડીસા તાલુકાના 12 જેટલાં મોટા તળાવ ઉડા કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કામગીરી પૂર્ણતાના આરે છે.
બુધવારે ડીસાના વરનોડા ગામે બનાસ ડેરીના ડીરેકટર રામજીભાઇ દેસાઇ, બનાસ બેન્કના વાઇસ ચેરમેન જીગરભાઇ દેસાઇ, બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઇ પટેલ, વરનોડા દુધ મંડળીના ચેરમેન ખેંગારભાઈ દેસાઈ, કરશનપુરા (વરનોડા) દુધ મંડળીના ચેરમેન નરસિંહભાઇ દેસાઇ, રામપુરા મંત્રી પુનમાજી જાટ, વરનોડા મંત્રી સોનાજી ઠાકોર સહિત ખેડૂતો અને પશુપાલકો ની હાજરીમાં તળાવ ઉંડુ કરવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના જળ બચાવો અભિયાન અંતર્ગત ડીસાના 12 ગામમાં તળાવ ઊંડા કરવામાં આવ્યા છે. જેથી ચોમાસા દરમ્યાન 95 કરોડ લીટરથી વધુ વહી જતાં વરસાદી પાણીનો તળાવમાં સંગ્રહ થવાથી આસપાસના ખેડૂતો અને પશુપાલકો માટે “રણમાં મીઠી વિરડી” સમાન સાબિત થશે તેમ બનાસ ડેરીના વિસ્તરણ અધિકારી ડૉ. આઇ.ડી.ચૌધરી અને જયંતિભાઇ પટેલે જણાવ્યું હતું.
From – Banaskantha Update