થરાદમાં અષાઢી બીજની રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ તથા બલરામ અને બહેન સુભદ્રા ગત રવિવારે રામજીમંદિરથી વાજતગાજતે રથમાં બિરાજી તેમના મોસાળ આદેશનગરમાં આવેલા શામળીયા ભગવાનના મંદિરે પધાર્યા હતા. જયાં આદેશપરિવાર દ્વારા સ્વાગત સામૈયા સાથે ભગવાનને આવકારી આટલા દિવસ ભગાવનને મોસાળમાં રખાયા હતા.જોકે કોરોનાને લીધે રથયાત્રા બંધ રખાઈ છે. જ્યારે રવિવારે સાંજે શ્રીરામ સેવા સમિતીના ભાઇબહેન સેવકો તેડવા જતાં ભગવાન મોસાળથી વાજતેગાજતે પરત પધાર્યા હતા. જ્યાં થરાદ તાલુકાના શ્રીમાળી સમાજના બહોળી સંખ્યામાં આગેવાનો સાથે ભગવાનના નિજધામમાં આવ્યા હતા.
તેમના દ્વારા બહેન સુભદ્રાને ચાંદીના ઘરેણાં અને ભગવાનને વસ્ત્રોનું રૂપિયા 21 હજારનું તથા હાથગરણુ મળીને 44 હજારનું મોસાળું પણ કરવામાં આવ્યું હતું. આવતા વર્ષે ભગવાન જગન્નાથનું મામેરુ સોની સમાજ દ્વારા ભરાશે. ભગવાન જગન્નાથની આરતી કરી પ્રસાદ ધરાવીને તમામ ભક્તોએ પ્રસાદ લઇ આનંદ અનુભવ્યો હતો.
શ્રીરામ સેવા સમિતી દ્વારા ભાવિકોની આગતા સ્વાગતા કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલ, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત, થરાદ તાલુકાના રાજપુત સમાજના પ્રમુખ ડી.ડી.રાજપુત,પાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપુત, વણાજી રાજપુત, ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુત સહિત બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
From – Banaskantha update