કોરોનાની મહામારીમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. હોસ્પિટલોના લાખોના ખર્ચ કરવા પડયા છે. ત્યારે ડીસા તાલુકાના બુરાલ ગામનો એક ગરીબ ખેડૂત પણ કોરોનાનો ભોગ બનતાં ઓક્સિજન લેવલ ઘટતા ડીસાની પ્રેરણા હોસ્પિટલમાં રીફર કરાયો હતો. દર્દીને પ્રેરણા હોસ્પિટલમાં ડો. અંકિતભાઇ કેલા દ્વારા પાંચ દિવસ સુધી સારવાર કરી અને જરૂર પડયે વેન્ટિલેટર પણ લગાવ્યું હતું અને દર્દીની તબિયત પણ સારી થઈ ત્યારે હોસ્પિટલમા અંદાજીત રૂ. 1.20 લાખ જેટલું બીલ થતાં રૂપિયા જમા કરાવવાનું કહેતાં ત્યારે ગરીબ ખેડૂતના દીકરાએ જમીન અડાણે મૂકી દસ્તાવેજ કરી તબીબનું બીલ ચૂકવવાની તૈયારી કરી હતી.
જેની જાણ ડૉ. અંકિતભાઇ કેલાને થતાં તેમણે ડો.પ્રેરણાબેન કેલાને વાત કરી ત્યારે માનવતા વાદી બંને તબીબ દંપતિ આપણે રૂપિયા નથી લેવા આ ખેડૂત જમીન વેચશે તો આનો પરિવાર ક્યાં જશે. જેથી તેમણે દર્દીના પુત્રને ઓફીસમાં બોલાવીને કહ્યું અમારે બીલ નથી લેવું અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જાઓ ત્યાં હું બે દિવસ ચેકઅપ માટે આવીશ અને ત્યાંના તબીબોને પણ કહીશ મદદ કરશે એમ કહીને રૂ 1.20 લાખ લીધા વગર દર્દીને એકદમ સાજો કરી માત્ર સામાન્ય ઓક્સિજનની જરૂર પડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
આ દર્દી એકદમ સાજો થઇ જતાં પહેલા તબીબ દંપતી આગળ બે હાથ જોડી આભાર વ્યક્ત કર્યો હતો. આજના ઘોર કળીયુગમાં માનવતાના દશર્ન કરાવતાં બંને તબીબ દંપતિને પણ સલામ છે. કળીયુગમાં દેવદૂત બનેલા ડો. અંકિતભાઇ કેલા અને ડો. પ્રેરણાબેન કેલાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી અન્ય તબીબો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તબીબ દંપતિના પ્રેરણા દાયક કાર્યની સોશિયલ મિડીયામાં પણ સરાહના થઈ રહી છે.
From – Banaskantha Update