બનાસકાંઠા જીલ્લાના ગામડાઓમાં પીપળ વન બનાવવા માટે બનાસકાંઠા જીલ્લાના કલેક્ટર આનંદ પટેલ સાથે મંગળવારે મુલાકાત કરી ગામડાના લીલાછમ વૃક્ષોનું જતન કરવા આયોજન કરાયું.
આ પ્રસંગે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય અને આર્યાવર્ત ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ રાજગોર, એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટના સભ્યો, ધાનેરા-કાંકરેજ તાલુકાના ગામના સરપંચો તેમજ પર્યાવરણ પ્રેમીઓ ઉમાકાન્તભાઈ મિસ્ત્રી, સંજયભાઈ પ્રજાપતિ, દરઘાભાઈ પટેલ, વિરમાભાઈ વાઘેલા, હમીરભાઇ પટેલ અને રેવાજી ઠાકોર સહીતના ગામડાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે બનાસકાંઠા જીલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, દરેક ગામમાં ગોચર અને પડતર જમીનમાં આવા આયોજન બદ્ધ પીપળ વન બનાવવા જોઈએ અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાવવા અને તંત્ર દ્વારા જરૂરી બધી જ પ્રકારની મદદ કરવા પોતાની તૈયારી બતાવી જોઈએ.
આ અંગે નિલેશભાઈ રાજગોર (આર્યાવર્ત ટ્રસ્ટ-પાટણ) એ જણાવ્યું કે, બનાસકાંઠાના દરેક તાલુકાના ગામડાના જાગૃત પર્યાવરણ પ્રેમીઓ, સરપંચો દ્વારા અને ગામની સહભાગીદારીથી આ ચોમાસામાં દરેક ગામડે પડતર ભૂમિ, ગોચર, સ્મશાનની ભૂમિમાં પીપળ વનનું નિર્માણ થાય તેમજ સફળ વૃક્ષારોપણ સાથે સાથે વૃક્ષ ઉછેર થાય અને વૃક્ષોનું જતન થાય એવું આયોજન કરવામાં યોગ્ય માર્ગદર્શન તેમજ સહકાર આપવામાં આવશે.
From – Banaskantha Update