ડીસાના મુડેઠામાં 750 વર્ષ જૂની પરંપરાગત અશ્વદોડ જાળવી રાખી

- Advertisement -
Share

400 થી વધુ ઘોડા અને 100 ઉંટ સવારો જોડાયા : ભાઇ-બહેનના પવિત્ર પ્રેમની યાદને ગ્રામજનોએ શૌર્ય રૂપે રજૂ કરી

 

ભાઇ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઇબીજના દિવસે બનાસકાંઠા જીલ્લાના મુડેઠા ગામમાં લગભગ 750 વર્ષથી અશ્વદોડ યોજાય છે.
ત્યારે ગુરુવારે આ અશ્વદોડને નીહાળવા માટે દૂરદૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે.

ભારતમાં ક્ષત્રિય દરબાર સમાજના લોકોનો ઇતિહાસ ખૂબ જ ઉજળો જોવા મળે છે. પોતાની જીદ અને નીડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે.

વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઇ ગયા હતા. જે-તે સમયે મોગલોના આક્રમણથી રજવાડામાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડા પર સામ્રાજ્ય જમાવવા માંડયા હતા.

આ અરસામાં મોગલોએ જ્યારે ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચઢાઇ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાબજી નામના એક સંતને સોંપી દીધી હતી.

રાજાની આવી સૂચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરીછૂપીથી રવાના થઇ જઇ ડીસા તાલુકાના પેપળુ ગામમાં આવી પહોંચ્યા હતા.

પેપળુ પહોંચ્યા બાદ ચોથબા ઉંમરલાયક થતાં તેમના લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા.
પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઇ ભાઇ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઇઓ દ્વારા જ કરવામાં આવે એવી માન્યતાને લઇ પેપળુ ગામની નજીકમાં જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઇઓ આગળ આવ્યા હતા અને ચોથબાના ભાઇ બનીને કન્યાદાન કર્યું હતું.

ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઇઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મુડેઠાથી ચૂંદડી લઇ પેપળુ જતાં અને ત્યાં રાત રોકાઇ ભાઇબીજના દિવસે પરત ફરતા હતા.

તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઇઓ બખ્તર ધારણ કરીને જતાં હતા. જે બખ્તર આજે પણ હયાત છે. આ પરંપરાને રાઠોડ ભાઇઓએ 750 વર્ષથી જાળવી રાખી છે.

પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચૂંદડી લઇ ચોથબાને ઓઢાડવા જાય છે.

ભાઇબીજના દિવસે પરત મુડેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હુડીલા ગાય છે અને અશ્વદોડનું આયોજન કરે છે. લગભગ 400 થી વધુ અશ્વો આ અશ્વદોડમાં ભાગ લે છે.

મુડેઠા ગામમાં છેલ્લા 750 વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નીહાળવા માટે દૂરદૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે.

રફતાર અને શૌર્યતાના આ સમન્વયને નીહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ અઘરી બની જતી હોય છે.

પરંતુ આ અશ્વદોડની ખાસિયત એ છે કે, આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં અહીં કોઇપણ જાતના પોલીસ-બંદોબસ્તની જરૂર પડતી નથી.

મુડેઠા ગામના રાઠોડ પરિવારના મૂઠ્ઠીભર ઘરો જ આ આખા પ્રસંગની સુરક્ષાની જવાબદારી પોતાના માથે લઇ લે છે. એટલું જ નહી, પરંતુ 750 વર્ષના ઇતિહાસમાં આજ સુધી અહીં આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં કોઇ દિવસ અપ્રિય ઘટના બની નથી.

સદીયોથી ચાલી આવતી આ પરંપરાને નીભાવનારા અને નીહાળનારા બદલાતા ગયા હતા. પરંતુ આ પરંપરા આજે પણ બરકરાર છે.
કેટલીય પેઢીઓથી ચાલી આવતી આ પરંપરામાં રાઠોડ કુળના લોકો તલવારબાજી કરી પટ્ટા રમતાં હોય છે. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ દરેક વસ્તુ બદલાતી જાય છે.
પરંતુ મુડેઠા ગામના દરબાર પરિવારો માટે તો આજેય સમય 750 વર્ષ અગાઉ જ થંભી ગયો હોય તેમ આવનારી પેઢીઓ પણ આ પરંપરાને જાળવી રાખવા માટે એટલી જ તત્પર જણાઇ રહી છે.
આજના યુવા વર્ગમાં પણ આ પરંપરા સાચવી રાખવાનો ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે જે અગાઉની પેઢીઓમાં જોવા મળતો હતો.

 

દર વર્ષે દિવસે યોજાતી આ અશ્વદોડનો ઇતિહાસ 750 વર્ષ જૂનો છે અને દર વર્ષે ભાઇબીજના દિવસે બહેનને પાડોશના ગામ પેપળુ ચૂંદડી આપવા માટે રાઠોડ પરિવારના જે સભ્યો જાય છે.
તે અલગ-અલગ કુળના હોય છે. જેમાં ખેતાણી, ભાલાણી, રાજાણી અને દૂધાણી કુળના રાઠોડો જતાં હોય છે. દર વર્ષે અલગ-અલગ કુળના રાઠોડ પરિવારો બખ્તર ધારણ કરીને પેપળુ મુકામે ચૂંદડી આપવા જાય છે.
ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દર વર્ષે ભાઇબીજના દિવસે યોજાતી અશ્વદોડને નીહાળવા માટે માત્ર આજુબાજુના ગામના લોકો જ નહી. પરંતુ અમદાવાદ સુધીના લોકો પણ મુડેઠા ગામમાં ઉમટી પડે છે અને નાનકડા મુડેઠા ગામમાં માનવ કીડીયારુ ઉભરાયું હોય તેવો માહોલ જોવા મળે છે.
મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે, હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે. તે બખ્તર પણ 750 વર્ષ જૂનું છે અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારને ખૂબ જ માનથી નવાજવામાં આવે છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!