અમીરગઢ નજીકથી ગુજરાત-રાજસ્થાન સરહદ પર પોલીસ ચેકપોસ્ટ પરથી અવાર-નવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે રવિવારે રાત્રિના સુમારે અમીરગઢ પોલીસ ઇકબાલગઢ પુલ પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ટ્રક નં. RJ-18-GA-6543 માંથી ક્રૂરતાપૂર્વક લઈ જતા 78 પશુઓ ઝડપી પાડયા હતા.
જેમાં 24 પશુઓના મોત નિપજયા હતા. જયારે 54 જીવિત પશુઓને રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે મોકલ્યા હતા તેમજ રૂ. 8.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. જયારે 4 શખ્સોની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અન્ય એક ટ્રકમાં ખીચોખીચ 14 પશુઓ ભરેલી ઝડપી પાડી તેની સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
અમીરગઢ પોલીસ ઇકબાલગઢ પુલ પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે એક ટ્રક ઉપર શંકા જતા તેને રોકાવી હતી અને તેમાં તપાસ કરતા ટ્રકમાં પશુઓ ભરેલા જણાયા હતા. એક ટ્રકમાં 78 પશુઓ ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક ભરેલા હતા અને તેમા મૂંગા પશુઓ માટે કોઈપણ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કરેલી ન હતી. જેથી પોલીસનો શક વધારે થતાં ટ્રકના ચાલક પાસે પરમીટ માંગેલી પરંતુ ચાલક પાસે કોઈ પણ પ્રકારનું પાસ પરમીટ ન હોવાથી આ મૂંગા જીવો કતલખાને લઈ જવામાં આવી રહ્યાં હોવાનો શક પ્રબળ થયો હતો.
જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા ટ્રકના ચાલક સહિત 4 શખ્સો ઉપર કાયદેસરની કાર્યવાહી કરતા પશુ અતિ ક્રમણ મુજબ ગુનો દાખલ કરી પકડાયેલા 78 પશુઓની કિંમત રૂ. 3,90,000 અને ટ્રકની કિંમત રૂ. 5,00,000 આમ કુલ મુદ્દામાલ રૂ. 8,96,500 કબજે લઈ પશુઓને રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે મોકલ્યા હતા.
મૂંગા પશુઓને ક્યાંથી ક્યાં લઇ જવામાં આવી રહ્યાં હતા તેની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. જયારે અન્ય એક ટ્રકમાં ખીચોખીચ 14 પશુઓ ભરેલી ઝડપી પાડી હતી. જેમાં 14 પશુઓને રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે મોકલ્યા હતા. જ્યારે ટ્રક ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update