સાડા ત્રણ લાખ પશુપાલકોને ફાયદો થશે
બનાસકાંઠા જીલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. કારણ કે, બનાસ ડેરીની સાધારણ સભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ અને ઐતિહાસિક એવો 19.5 ટકા ભાવ ફેર આપી રૂ. 1650 કરોડ ચૂકવવાની જાહેરાત કરી હતી. જેનાથી જીલ્લાના સાડા ત્રણ લાખ જેટલાં પશુપાલકોને મોટો ફાયદો થશે.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની સોમવારે પાલનપુર તાલુકાના બાદરપુરા ઓઇલ મીલ ખાતે સાધારણ સભા યોજાઇ હતી.
જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે અમૂલ પ્રો બટર મીલ્ક અને ફૂડ લેન્ડનો શુભારંભ કરાયો હતો. આ સાધારણ સભામાં ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી બનાસ ડેરીની સિદ્ધીઓ ગણાવતાં જણાવ્યું હતું કે, ‘જીલ્લામાં અત્યારે સૌથી વધુ 27 લાખ પશુઓ છે.
જે તમામનો બનાસ ડેરી દ્વારા ટેકીંગ કરી આધારકાર્ડ બનાવવામાં આવ્યા છે. સાથે જ અત્યારે બનાસ ડેરીમાં રોજનું 75 લાખ જેટલું દૂધ આવે છે.
જ્યારે એક દિવસનું સૌથી વધુ 90 લાખ લીટર દૂધની આવક પણ નોંધાઇ હતી. છેલ્લા 7 વર્ષમાં તેમના શાસન ગાળા દરમિયાન બનાસ ડેરીએ તેની મૂડી, જમીન અને મિલ્કતમાં પણ 3 ગણો વધારો કર્યો હોવાનું જણાવ્યું હતું.
ત્યારે આ વર્ષે બનાસ ડેરીએ સૌથી વધુ 19.5 ટકા ભાવ ફેરો આપતાં પશુપાલકોને રૂ. 1650 કરોડ ચૂકવવાની જાહેરાત કરતાં જ તમામ પશુપાલકોએ શંકરભાઇ ચૌધરીની આ જાહેરાતને તાળીઓના ગઢડા સાથે વધાવી લીધી હતી. બનાસ ડેરીના આ નિર્ણયથી જીલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને ફાયદો થશે.’
From-Banaskantha upadate