48 વૈજ્ઞાનિકોની 12 ટીમો અમરેલી જીલ્લાના 11 તાલુકાઓમાં બાગાયતી અને ફળાઉ પાકોને પુનઃ સ્થાપિત તેમજ પુનઃ વાવેતર અંગે માર્ગદર્શન આપી રહ્યા છે.
બનાસકાંઠા જીલ્લામાં આવેલી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની 12 ટીમો તૌક્તેમાં નુકશાન અંગે અમરેલી જીલ્લામાં ખેડૂતોને માર્ગદર્શન આપવા અને તેમને બેઠા કરવા ખેડુતોના ખેતરોમાં પહોંચી છે. જેમાં તૌક્તે વાવાઝોડાની અસરના કારણે રાજયમાં ખેતી, બાગાયત અને પશુપાલન ક્ષેત્રે વ્યાપક નુકશાન પહોચ્યું છે.
વાવાઝોડાના પ્રકોપથી ગંભીર રીતે નુકશાન થયેલા અમરેલી જીલ્લામાં બાગાયતી અને ખેતી પાકોને કેવી રીતે નવું જીવન આપી શકાય તેનો તાગ મેળવવા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ખેડુતોના ખેતરો ખુંદી રહ્યાં છે. નારીયેળી, આંબા, ચીકુ, લીબુ, આમળાં અને બીજા ફળાઉ પાકોના બગીચાઓમાં વર્ષો જૂના ઝાડ મૂળમાંથી ઉખડી જવાથી તેમજ ડાળીઓ તુટી જવાથી બાગાયતી ખેતીના વ્યાપક નુકશાન પહોચ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમીટીની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ સરકારની સૂચના અંગે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. આર.એમ.ચૌહાણના સીધા માર્ગદર્શન હેઠળ અને સંશોધન નિયામક ર્ડા. બી. એસ. દેવરાના સંકલનથી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 48 વૈજ્ઞાનિકોની 12 ટીમો બનાવી અમરેલી જીલ્લાના 11 તાલુકામાં લાંબાગાળાના બાગાયતી પાકો જેવા કે, આંબા, ચીકુ, લીંબુ, આમળાં અને બીજા ફળાઉ પાકોમાં વાવાઝોડામાં પડી ગયેલા ઝાડોને પુનઃ સ્થાપિત કરવા તેમજ પુનઃ વાવેતર અંગે ખેડુતોને તાંત્રિક માર્ગદર્શન આપી રહ્યાં છે.
જેમાં જે ફળાઉ ઝાડના મુળતંત્ર સંપૂર્ણ રીતે ઉખડી ન ગયા હોય તેવા ઝાડોને પુનઃ સ્થાપિત કરવા અંગેની શક્યતાઓ રહેતી હોઈ કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને માર્ગદર્શન આપી મહામુલા ઝાડોને બચાવવાની અગત્યની અને ખેતી પાકોમાં કન્ટીજન્ટ આયોજનની કામગીરી કરી રહ્યાં છે. કોવિડ-19 વૈશ્વિક મહામારીના સમયમાં તૌક્તે અસરગ્રસ્ત અમરેલી જીલ્લામાં વિપરીત પરિસ્થિતિમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમ કુદરતી આપત્તિ સમયે ખેડૂતોની વેદના સમજી સંવેદના સાથે અવિરત કાર્ય કરી રહી છે. જે ખૂબ જ સરાહનીય છે તેમ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકે જણાવ્યું છે.
From – Banaskantha Update