આગામી તા. 15 સપ્ટેમ્બર સુધી ગુજરાત સરકારે જાહેર કરેલી ગૌમાતા પોષણ યોજના નહીં થાય તો ઉગ્ર આંદોલન અને ધરણાં કરી રસ્તાઓ ચક્કાજામ કરવામાં આવશે
ગૌશાળ-પાંજરાપોળોને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગૌ પોષણ યોજના અંતર્ગત સંવેદનશીલ સરકારે ગૌશાળા પાંજરાપોળમાં આવેલ ગૌવંશના નિભાવવા માટે રૂ. 500 કરોડ અને રખડતાં પશુઓ માટે
રૂ. 100 કરોડ મળી કુલ રૂ. 600 કરોડની ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરાઇ છે. પરંતુ આજદિન સુધી કોઇ અમલ ન થતાં વિવિધ સંગઠનો દ્વારા બુધવારે થરાદમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
અસહ્ય મોંઘવારી અને આર્થિક તકલીફના કારણે ગૌશાળા પાંજરાપોળને મળતી દાનની આવક બંધ થવાથી સંસ્થાઓ દેવાદાર બની છે.
જેના કારણે સંસ્થાઓને પોતાના પશુઓને નિભાવ કરવો ખૂબ જ મુશ્કેલ બન્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગૌ પોષણ યોજનાનો અમલમાં વિલંબના કારણે ભારોભાર નારાજગી જોવા મળે છે.
જયારે લમ્પી નામના વાયરસના કારણે ગૌશાળા પાંજરાપોળોમાં આવેલ અને રખડતાં અસંખ્ય પશુઓના મૃત્યુના કારણે ગૌભક્તોમાં ખૂબ જ દુઃખની લાગણી વ્યાપી ગઇ છે અને હાલત ખૂબ જ કપરી બનેલી છે.
આવા કપરા સમયમાં દરેક સંસ્થાઓ, જીવદયાપ્રેમીઓ અને ગૌભક્તો હીન્દુ ધર્મની ધરોહર તેમજ આધાર સ્તંભ એવા ગૌવંશને બચાવવા માટે રાષ્ટ્રવાદી અને લોકપ્રિય સરકાર પાસે આર્થિક સહાયની આશા રાખી બેઠી છે.
આ યોજના ત્વરીત અમલમાં આવે તેવી ઉગ્ર માંગ સાથે વાવ અને થરાદના 2 ગૌભક્તો રાણાભાઇ રાજપૂત અને રમેશભાઇ ગામોટ 2 વ્યક્તિઓ છેલ્લા 7 દિવસથી અંશન પર બેઠા હતા અને બુધવારે થરાદ
પંથકના વિવિધ ગૌશાળાના ટ્રસ્ટીઓ, સંગઠનો, યુવક મંડળો સહીત ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
ત્યારે પ્રાંત અધિકારી આ આવેદનપત્ર 24 કલાકમાં સરકારને પહોંચાડી યોગ્ય ન્યાય આપીશું તેવું જણાવ્યું હતું. ત્યારબાદ આગામી તા. 15 સપ્ટેમ્બર સુધી ગુજરાત સરકારે જાહેર કરેલી ગૌમાતા પોષણ યોજના
નહીં થાય તો ઉગ્ર આંદોલન અને ધરણાં કરી રસ્તાઓ ચક્કાજામ કરવામાં આવશે. તે દરમિયાન કંઇ પણ નુકશાન થશે તેની જવાબદારી સરકારની રહેશે તેવી સાધુ-સંતોએ પણ ચિમકી ઉચ્ચારી હતી.
From-Banaskantha update