પાણી પુરવઠા દ્વારા પાંથાવાડાથી જડીયા સુધી મોટા વ્યાસવાળી પાણીની પાઇપ લાઇન નાંખવાની કામગીરી ચાલુ છે. ત્યારે ખેડૂતોના ઉભા પાકમાં આ પાઇપ લાઇન નાંખવામાં આવતી હોવાથી ખેડુતોને મોટા પ્રમાણમાં નુકસાન થવા છતાં કોન્ટ્રાકટર દ્વારા તાનાશાહીથી પાઇપ લાઇન નાંખવાની કામગીરી ચાલુ રાખતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ધાનેરા તાલુકામાં પાણીના તળ ઉંડા જતાં ધાનેરા તાલુકાના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે પાંથાવાડાથી જડીયા સુધી પાણીની મોટા વ્યાસવાળી લાઇન મંજુર કરવામાં આવી હતી. તેમજ આ પાઇપ લાઇન નાંખવાની એજન્સી દ્વારા શરૂઆત કરવામાં આવી છે. ત્યારે પાંથાવાડાથી ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાકનો સોથો બોલાવીને ખેતરમાંથી જ પાઇપ લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી હોવાથી આ બાબતે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને એજન્સીવાળા ખેડુતોને પોલીસની ધાકધમકીઓ આપીને આ પાઇપલાઇન નાંખી ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડી રહ્યા હોવા છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ મૌન સેવીને બેસી રહ્યા છે.
આ અંગે વાલેરના ખેડૂત માવજીભાઇ રબારીએ જણાવ્યું હતું કે, ‘આ પાઇપ લાઇન નાંખવા માટે આવેલા કોન્ટ્રાકટરો દ્વારા જો હૂકમીથી ઉભા પાકમાં પાઇપ લાઇન નાંખી રહ્યા છે, તેઓએ અમારા ખેતરોમાં પાઇપ લાઇન નાંખવાની મંજુરી પણ લીધેલ ન હોવા છતાં પાક ભાગીને પાઇપ નાંખે છે અને આ બાબતે અગાઉ પાઇપો નાંખી ત્યારે પણ કોઇ પ્રકારનું વળતર આપ્યું નથી અને હાલમાં પણ આ પાકનું વળતર મળે તેમ લાગતું નથી અને ખેડૂતોને હવે તો મરવાના દિવસો આવ્યા છે.’
જે ખેડૂતોને નુકસાન થયેલ છે તેનો સર્વે કરાશે
ધાનેરા પાણી પુરવઠા અધિકારીએ જણાવ્યું કે આ પાઇપ લાઇનથી જે ખેડૂતોને નુકસાન થયેલ છે તેવા ખેડૂતોનું સર્વે કરીને જે નુકસાન થયેલ છે તે બાબતે વળતર પણ ચુકવવામાં આવશે. જેથી ખેડૂતોને અન્યાય નહી થાય.’