બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે શનિવારે સરહદી વિસ્તારની મુલાકાત લઇ સૂઇગામ તાલુકાના મમાણા અને વાવ તાલુકામાં સુજલામ – સુફલામ અભિયાન હેઠળ ચાલતા તળાવો ઉંડા કરવાના કામોનું નિરીક્ષણ કર્યું હતું. કલેકટરએ આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા સૂઇગામ તાલુકા અને વાવ તાલુકાના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ થરાદની સરકારી હોસ્પીટલમાં અદાણી ગ્રુપ દ્વારા ઉભા કરવામાં આવેલ ઓક્શિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
તળવાનો કામનું નિરીક્ષણ કરતાં કલેકટરએ કહ્યું કે સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ-સુફલામ અભિયાન ચલવવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ચોમાસું હવે નજીક આવી રહ્યું છે ત્યારે તળાવો ઉંડા કરવાના કામો ઝડપથી પૂર્ણ કરીએ. વરસાદનું મહત્તમ પાણી તળાવોમાં ભરાય તેવા ગુણવત્તાયુક્ત કામો સમયસર પૂર્ણ કરી ભૂગર્ભ જળ ભંડારો સમૃધ્ધ બનાવીએ.
કલેકટર આનંદ પટેલે વાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ત્યાં સારવાર લેવા આવેલા દર્દીઓના ખબર-અંતર પૂછી આરોગ્યની વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. તેમણે તબીબો અને મેડીકલ સ્ટાફ સાથે ચર્ચા કરતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં મેડીકલ ક્ષેત્રના તમામ લોકોએ રણ મેદાનના યોધ્ધાઓની જેમ કામ કર્યુ છે જે અભિનંદનને પાત્ર છે.
તેમણે કહ્યું કે મેડીકલ સાયન્સના તજજ્ઞોના જણાવ્યા અનુસાર આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે ત્યારે તેના સામના માટે અત્યારથી જ તમામ તૈયારીઓ કરી સજ્જ રહેવા તેમણે જણાવ્યું હતું.
થરાદની સરકારી હોસ્પીટલમાં અદાણી દ્વારા નિર્મિત ઓક્શિજન પ્લાલન્ટનું આજે કલેકટર આનંદ પટેલ અને સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારે કલેકટરએ કહ્યું કે અદાણી ગ્રુપ દ્વારા નાખવામાં આવેલા આ પ્લાન્ટમાંથી રોજના 150 બોટલ ઓક્શિજન મળશે. જે થરાદ સરકારી હોસ્પીટલ ઉપરાંત આ વિસ્તારના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
From – Banaskantha Update