તૌક્તે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી.
તૌક્તે વાવાઝોડાના કારણે જિલ્લામાં જાનમાલને નુકસાન ન થાય તે માટે કલેક્ટર આનંદ પટેલે ગઇકાલે અધિકારીઓને બેઠકમાં આપેલ સુચના પ્રમાણે જિલ્લાભરમાંથી હોર્ડીંગ ઉતારી લેવાની, યુ.જી.વી.સી.એસ.ની લાઇન તથા રસ્તાની નજીકના ઝાડ કટીંગ કરવાનું કામ સમગ્ર દિવસ દરમ્યાન ચાલુ રહ્યું હતું.
સરહદી સૂઇગામ તાલુકાના દૂદોસણ ગામમાં ઝુંપડામાં રહેતા વિચરતી-વિમુક્ત જાતિના લોકોને ગામની પ્રાથમિક શાળામાં સલામત સ્થળોએ આશ્રયસ્થાનોમાં ખસેવડવામાં આવ્યાં છે. વીજ પુરવઠો સતત જળવાઇ રહે તથા વીજ પુરવઠો ખોરવાય તો ઝડપથી ચાલુ કરવા અલગ – અલગ ટીમોની રચના કરી તમામને સતર્ક કરી દેવામાં આવી છે.
કલેકટરની સુચના મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આ વાવાઝોડાથી એલર્ટ રહે તે માટે ગામડાઓમાં ઢોલ વગાડી સાવચેત રહેવા તથા પોતાના પશુધનને પણ સલામત સ્થળે રાખવા જાગૃતિ ફેલાવવામાં આવી છે. પંચાયત, માર્ગ અને મકાન, યુ.જી.વી.સી.એસ., ખેતીવાડી સહિતના વિભાગો દ્વારા સર્વે માટેની ટીમો તૈયાર રાખવામાં આવી છે. પીવાના પાણી માટેની ટાંકી – સંપ ભરી રાખી જરૂર જણાય તેવા વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં આશ્રયસ્થાનો ઉભા કરવામાં આવ્યાં.
From – Banaskantha Update