કોરોનાની બીજી લહેરના સંક્રમણને કાબુમાં લેવા અને ગ્રામ્ય વિસ્તારો સંપૂર્ણપણે કોરોના મુક્ત બને તે માટે ગુજરાતના સ્થાપના દિવસ તા. 1 લી મે થી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે.
આ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પ્રત્યેક ગામને કોરોનામુક્ત બનાવવા કલેકટર આનંદ પટેલના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. કોવિડ કેર સેન્ટર અને મોટા ગામો તથા તાલુકા કક્ષાએ ઓક્શિજન સપોર્ટેડ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. આ કાર્યમાં જિલ્લાની સ્વૈચ્છીક સંસ્થાઓ, દાતાઓ અને વિવિધ સેવાભાવી સંગઠનો તંત્ર સાથે ખભેખભો મિલાવી કામ કરી રહ્યાં છે.
જે અંતર્ગત પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં સરહદી વિસ્તાર સૂઇગામ ખાતે રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રના સ્થાનિક અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં નિર્ધાર કરવામાં આવ્યો હતો કે, સૂઈગામ તાલુકામાં કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી નજીકમાં જ સારવાર મળી રહે તે માટે સૂઇગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ હેલ્થ કેર શરૂ કરવામાં આવે અને આ હેલ્થ સેન્ટરમાં ઓક્સિજનની લાઈન નાખી કોવિડ દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવે.
આ ઓક્સિજન લાઈન નાખવા માટે સૂઇગામ એ.પી.એમ.સી. દ્વારા રૂ.2,50,000/- નો ચેક સૂઈગામ તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયાને અર્પણ કરી કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. સૂઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કમ કોવિડ હેલ્થ સેન્ટર ખાતે હાલ 9 બેડની ઓક્સિજન લાઈન નાખી દેવામાં આવી છે. તેમજ વધુ 20 બેડ માટે ઓક્સિજન લાઈનની પ્રક્રિયા યુધ્ધના ધોરણે ચાલી રહી છે. જે પૂર્ણ થવાથી આ સરહદી વિસ્તારના લોકોને પોતાના ગામની નજીક ઘર આંગણે સારવાર મળી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીની આ વિકટ પરિસ્થિતિમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સૂઇગામ કોવિડ હેલ્થ સેન્ટર માટે જરૂરી વ્યવસ્થા માટે નાણાંકીય મદદ કરવાની ખાતરી આપી હતી. તેમજ એ.પી.એમ.સી સૂઈગામના ડિરેક્ટર ઉમેદદાન ગઢવીનો સામૂહિક આરોગ્ય કેન્દ્ર સૂઈગામ તેમજ આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
From – Banaskantha Update