પાલનપુરમાં પોલીસ પરિવાર અને શહેરની સ્વાતિ સોસાયટીમાં રહેતા એક આખેઆખા પરિવારે કોરોનાને મ્હાત આપી દવાખાનામાં જ કોરોના મટે છે તે વાતને ખોટી ગણાવી હતી. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. મોટી સંખ્યામાં દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે. આવી ગંભીર પરિસ્થિતિમાં જીવલેણ કોરોનાથી જો બચાવું હોય તો વેકસીન જ અકસીર ઈલાજ છે.
પાલનપુર સીઆઇડી વિભાગમાં ફરજ બજાવતાં એ. એસ. આઈ. મુકેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, “મારો આખો પરિવાર કોરોના સંક્રમિત થયો હતો. પરંતુ અમે બન્ને પતિ પત્નીએ રસીના બન્ને ડોઝ લીધા હોવાથી ઓક્સિજન કે રેમચેસિવિર ઇન્જેક્શનની જરૂર ન પડી હતી. સરકારી દવા અને ઘરગથ્થુ ઉપચાર થકી માત્ર 6 દિવસમાં કોરોના સામે જીત્યા છીએ.”
કોરોના સામેની આ લડાઇમાં વેકસીન એક ઉત્તમ અને સક્સીર ઈલાજ બની રહી છે. જેનું ઉદાહરણ પાલનપુરનો પોલીસ પરિવાર છે. આ અંગે પાલનપુર સીઆઇડી વિભાગમાં ફરજ બજાવતાં એ. એસ. આઈ. મુકેશભાઈ મોદી (ઉ.વ.43)એ જણાવ્યું કે, મારી ધર્મ પત્ની નેહા (ઉ.વ.41) અને પુત્ર જૈમીન (ઉ.વ.18)ને લક્ષણો દેખાતાં રિપોર્ટ કરાવ્યો ત્રણેય પોઝિટિવ આવ્યા હતા. જોકે, અમારા માટે પોઝિટિવ બાબત એ હતી કે, બન્ને જણાએ રસીના બંને ડોઝ પુરા કર્યા હોવાથી શરીરમાં કોરોના સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ એક્ટિવ થઈ ગઈ હતી.
પરિણામે માત્ર ગળામાં જ કોરોના રહ્યો, ફેફસા સુધી ન પહોંચ્યો. અમને નતો ઓક્સિજનની જરૂર પડી કે ન રેમડેસિવર ઇન્જેક્શનની માત્ર સરકારી દવા અને ઘરગથ્થુ ઉપચાર કરી માત્ર 6 દિવસમાં કોરોનાને મ્હાત આપી છે. દીકરો પણ સ્વસ્થ થઈ ગયો છે. જેને રસી અપાવવા માટે રજિસ્ટ્રેશન કરી દીઘું છે.
ફુદીનો, અજમો, હળદર, મીઠુંનો દિવસમાં ચાર વખત નાશ લીધો, સરકારી દવા ઉપરાંત લીંબુ ગરમ પાણી સાથે આખો દિવસ પીધું અને આંબળા પાવડર પીધો હતો.
પાલનપુર શહેરની સ્વાતિ સોસાયટીમાં રહેતા દિનેશચંદ્ર ચૌહાણના પરિવારમાં એક સભ્ય બીમાર પડતા એક પછી એક તમામ સભ્યો બીમાર પડ્યા, પરિવારના સભ્યોના 25 એપ્રિલ આસપાસ કોરોના રિપોર્ટ પોઝિટિવ પણ આવ્યા, 2 પુત્રો, પુત્રવધુઓ અને બાળકો સહિત સહુ કોઈ આ બીમારીમાં એક બીજાની પડખે હતા. દિનેશભાઇની પત્ની મધુબેનનુ ઓક્સિજન 70 સુધી નીચે ઉતરી ગયું.
પરિવારે તપાસ કરાવી પણ પાલનપુરમાં ક્યાંય ઓક્સિજન બેડ ખાલી નહોતો તેવામાં આ પરિવારે હિંમત હાર્યા વગર એક બીજાને હૂંફ આપી. હોમ આઇસોલેશન પાળ્યું, ઊંધા સુઈ મેડિકલ ટ્રીટમેન્ટ સંપૂર્ણ ફોલો કરી અને એક પછી એક તમામ સભ્યો સાજા થઈ ગયા. મધુબેને જણાવ્યું કે એક તબક્કે એવું લાગ્યું કે હમણાં આંખો મીંચાઈ જવાની છે પણ હિંમત નહોતી હારી. આજે ઘરમાં સહુ ભગવાનનો આભાર માની રહ્યા છે.”
ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બનાવવામાં આવેલ 20 બેડની કોવિડ હોસ્પિટલમાં આજદિન સુધી 62 દર્દીઓ સારવાર લઇ ચુક્યા છે. જેમાં ગુરૂવારે ચાર દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફરેલ છે. જેમાં અગાઉ પણ 27 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફરેલ છે.
જેમાં અત્યાર સુધી 31 દર્દીઓ કોરોનાથી સાજા થઈને ઘરે પરત ફરેલ છે. ત્યારે 70 વર્ષની બે મહિલાઓ, 75 વર્ષના બે પુરુષોએ કોરોનાને મ્હાત આપતા ગુરુવારે હોસ્પિટલમાંથી રજા આપતા ડૉક્ટર, આરોગ્ય કર્મીઓ અને ગામના આગેવાનો દ્વારા પુષ્પવર્ષા અને તાળીઓથી અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓએ ડોક્ટર અને આરોગ્યકર્મીઓનો આભાર માન્યો હતો.
From – Banaskantha Update