દિયોદર પરણાવેલી થરાદની યુવતીને સાસરીયાંએ દહેજ પેટે રૂ.80 લાખની માંગ કરી શારિરીક-માનસિક ત્રાસ આપતા પતિ, સાસુ-સસરા અને જેઠાણી સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
થરાદના જૈનમ ફ્લેટમાં રહેતી ભાવનાબેન પરમારના લગ્ન 5 વર્ષ અગાઉ દિયોદરની તિરૂપતિ સોસાયટીમાં રહેતાં પ્રફુલભાઈ પરમાર સાથે થયા હતા. છેલ્લા 6 મહિનાથી મહિલાના સસરા અમરતલાલ બબાજી પરમાર, સાસુ દેવીબેન પરમાર, જેઠ ભરતભાઈ પરમાર તથા જેઠાણી હેતલબેન પરમાર ચઢામણી કરીને અવારનવાર પરેશાન કરી પતિ પાસે મારઝુડ કરાવતાં હતાં.
18 જાન્યુઆરીએ સાસુ-સસરા, જેઠ-જેઠાણીએ તેને કંઇ કામ આવડતું નથી. તું અભાગણી છે, તારું મોઢું નથી ભાળવું, તું એને કાઢી નાખ તેમ કહીને પતિ પાસે માર મરાવ્યો હતો. તારે રહેવું હોય તો તારા બાપના ઘરેથી રૂ.80 લાખ લઈને આવ અમારે વૈભવી બંગલો બનાવવો છે તેમ કહી દોઢ વર્ષના પુત્ર સાથે ઘરમાંથી કાઢી મુકી હતી. તેણીના પિતાજીએ સામાજિક રાહે સમાધાન કરવાના પ્રયાસો કરવા છતાં પણ સાસરી પક્ષના લોકો એકના બે ન થતાં આખરે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.થરાદ પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update