ડીસા તાલુકાના જુનાડીસા ગામે આવેલ બેન્ક ઓફ બરોડા શાખામાં કોરોના સંક્રમિત વયોવૃદ્ધ પેન્સનરોને બોલાવાતાં હોવાની બુમરાડો વચ્ચે જરી પુરાણા એ.ટી.એમથી પણ ગ્રાહકો તોબા પોકારી ઉઠ્યા છે.
જુનાડીસા સહિત આજુબાજુના ગામો વચ્ચે એકમાત્ર રાષ્ટ્રીયકૃત બેન્ક ઓફ બરોડાની શાખા હાઇવે ઉપર આવેલી છે. જ્યાં પેન્સનરો સાથે દૂધ ગ્રાહકોના પણ ખાતા છે. જેને લઈ બેંક બહાર આખો દિવસ ભરચક ભીડ જોવા મળે છે. જો કે કોરોનાના કહેરને લઈ હાલમાં બેંકનો સમય સવારે 10થી બપોરે 2 વાગ્યાનો કરી દેવાયો છે તેમ છતાં બેન્ક બાબુઓની અનિયમિતતા ચર્ચાને ચગડોળે ચડી છે.
હાલમાં ગામ સહિત આજુબાજુના ગામોમાં કોરોનાનું સંક્રમણ વધી પડ્યું છે. તેમ છતાં બેંકના સત્તાધીશો 70થી 80 વર્ષના કોરોના સંક્રમિત પેન્સનરોને પણ પેન્સન લેવા બેંકમાં આવવાની ફરજ પાડે છે જેના કારણે ઉલટાનું અન્ય ગ્રાહકો સહિત કર્મચારીઓ પણ સંક્રમિત થવાની પૂરેપૂરી દહેશત વર્તાય છે. તેવું ગ્રાહકોએ જણાવી ઉમેર્યું હતું કે, બેન્ક કાર્યરત થઈ તેની સાથે શરૂ કરેલ એ.ટી.એમનું મશીન સાવ ખખડી ગયું છે. જેની ડિસ્પ્લે કે આંકડા પણ દેખાતા નથી.
તેથી શિક્ષિત ગ્રાહક પણ તેનો ઉપયોગ કરી શકતો નથી. તેમછતાં બેન્ક સત્તાધીશો દ્વારા તેના સ્પેરપાર્ટસ બદલવાની પણ તસ્દી લેવાતી નથી. જેથી ગ્રાહકોમાં ઉગ્ર રોષ સાથે અસંતોષ છવાયો છે. જેના કારણે બેંકની શાખ પણ ખરડાઈ રહી છે. આ બાબતે બેંકના ઉચ્ચ સત્તાધીશો સત્વરે ઘટતાં પગલાં ભરે તેવો જનમત પ્રવર્તે છે.
ગામના હનીફ ઘાસુરાએ બેંકમાં ફરજ બજાવતો સિક્યુરિટી ગાર્ડ અને બેંકના કર્મચારી ફોર્મ ભરવા કે એ.ટી.એમમાંથી રૂપિયા ઉપાડવા ગ્રાહકો પાસેથી રોકડી કરતા હોવાના ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેઓ ગ્રાહકોના ટોળા પણ ઉભા કરે છે જેના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા છે તેથી તેમની વિરુદ્ધ સરકારની ગાઈડલાઈનના ભંગ મુજબની કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.
From – Banaskantha Update