બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ધીમે ધીમે સંક્રમણના કારણે દર્દીઓમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.
ત્યારે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સિવિલ હોસ્પિટલ સહીત અનેક ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તે દર્દીઓ સાથે આવેલા સગાઓને બે ટાઈમ જમવા માટે રજળવું ન પડે તે માટે સાગ્રોસણા ગામ દ્વારા 500થી વધુ નિશુલ્ક ટિફિન સેવા શરૂ કરાઈ છે.
સમગ્ર બનાસકાંઠામાંથી પાલનપુરમાં સિવિલ સહિત અનેક ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ સહિત અનેક બીમાર લોકો સારવાર લઈ રહ્યા છે. ત્યારે પાલનપુરમાં જનતા કરફ્યુના કારણે દર્દીઓના સગાને જમવા માટે રજળવું ન પડે તે માટે પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામ ન લોકો દ્વારા ટિફિન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જેમાં પાલનપુર સિવિલ સહિત ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના સગા માટે દરરોજ 500થી વધુ ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સાગ્રોસણા ગામના સરપંચ તેમજ ગામમાં આગેવાનોની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં પાલનપુર સિવિલ સહિત અનેક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સગાઓને ટિફિન માટે રજળવું ન પડે માટે સાગ્રોસણા ગામના દરેક સમાજના આગેવાનો અને યુવાઓએ એકત્રિત થઇ ગામ ખર્ચ દ્વારા ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે.
આ અંગે સાગ્રોસણા ગામના સરપંચ માનચંદ પટેલે જણાવ્યું હતું કે, જ્યા સુધી કોરોનાની મહામારી રહેશે ત્યાં સુધી ટિફિન સેવા ચાલુ રાખવામાં આવશે અને સાગ્રોસણા ગામમાં યુવાઓ સહિત મહિલાઓ પણ સેવામાં જોડાઇ છે. ત્યારે પાલનપુર તાલુકાનું ત્રણ હજારની વસ્તી ધરાવતું સાગ્રોસણા ગામ અન્ય ગામો માટે પ્રેરણા રૂપ બન્યું છે.
From – Banaskantha Update