કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તથા લોકોને આ મહામારીમાંથી બચાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારના દિશા નિર્દેશો પ્રમાણે તબીબો, પોલીસ કર્મીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓએ રાત – દિવસ એક કરી પોતાની જાનની પરવા કર્યા વિના ખડેપગે સેવા બજાવી છે.
આ સેવા દરમ્યાન કેટલાંક કર્મચારીઓ અને અધિકારીઓના દુઃખદ અવસાન પણ થયાં છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે કોરોના વાયરસના કારણે જે કર્મચારી કે અધિકારીનું દુઃખદ અવસાન થાય તેવા કિસ્સામાં તેમના આશ્રિત કુંટુંબને રૂ. 25 લાખની સહાય આપવાની જોગવાઇ કરી છે.
રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણય અનુસાર સ્વર્ગસ્થ કોરોના વોરીયર ડીસા શહેરના તત્કાલીન મામલતદાર ડી. વી. વણકરના ધર્મપત્ની મંજુલાબેનને કલેકટર આનંદ પટેલે રૂ. 25 લાખની સહાયનો ચેક અર્પણ કરી ઉંડા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી. ડી. વી. વણકર તેમના ધર્મપત્ની મંજુલાબેન, એક પુત્ર અને બે દિકરીઓને વિલાપ કરતાં આ દુનિયા છોડી ગયાં છે.
કલેકટરએ સ્વ. મામલતદારના ધર્મપત્ની અને પુત્ર સાથે વાતચીત કરી તેમના પરિવારની સ્થિતિ અને બાળકોના અભ્યાસ અંગેની માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું કે, સ્વ. ડાહ્યાભાઇ વણકરે બનાસકાંઠા જિલ્લામાં વડગામ અને ડીસા એમ બે તાલુકાઓમાં કોરોના સમયમાં ખુબ જ સરસ કામગીરી કરી આ વિસ્તારમાં ફરજની સાથે સેવાનું શ્રેષ્ઠં કામ કર્યુ હતું.

તેમણે સ્વર્ગસ્થના પરિવારજનોને સાંત્વના પાઠવતાં કહ્યું કે, આપણું જીવન આખરે તો કુદરતના હાથમાં છે, કુદરતને ગમ્યું તે ખરૂ… પણ હવે જરાપણ હિંમત હાર્યા વિના સારી રીતે અભ્યાસ કરી પિતાનું સપનું પુરૂ કરીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામના મૂળ વતની સ્વ. ડી. વી. વણકર આશરે 30 વર્ષથી નાયબ મામલતદાર તરીકે સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા હતાં. તેમને મામલતદાર તરીકે વડગામ તાલુકામાં પ્રમોશન મળતાં બનાસકાંઠા જિલ્લામાં વડગામ અને ડીસા શહેર મામલતદાર તરીકે ખુબ સારી સેવાઓ આપી મહેસૂલી પરિવાર અને લોકોમાં અનેરી લોકચાહના મેળવી હતી. તેમના નિધનથી મહેસૂલી પરિવારને ન પુરી શકાય તેવી ખુબ મોટી ખોટ પડી છે.
From – Banaskantha Update