ધાનેરા તાલુકાના ખીંમત ગામના બે પિતરાઇ ભાઇઓ ઘરેથી શનિવારના સવારના નવ વાગે પાંથાવાડા ખાતે ઈકો ગાડીમાં ગેસ ભરાવી પરત પાંથાવાડાથી ખીંમત તરફ જઇ રહ્યા હતા ત્યારે પીપળા નજીક ખીંમત તરફથી આવતી ટ્રકના ચાલકે ઈકોને ટક્કર મારતા ઈકોનો ડ્રાઇવર તથા બાજુમાં બેઠેલ બંને પિતરાઇ ભાઇઓના મોત નીપજ્યા હતા. બે પિતરાઇ ભાઇઓના મોત થતાં સમગ્ર ગામમાં સન્નાટો છવાયો હતો. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ધાનેરા તાલુકાના ખીંમત ગામે રહેતા વિષ્ણુસિંહ કપૂરસિંહ ઠાકોર (સોલંકી) ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરા અને દીકરી છે. શનિવારે વહેલી સવારે વિષ્ણુસિંહ ઘરે હતા તે સમયે તેમના કૌટુંબિક ભત્રીજા સદુભા નાગજી ઠાકોર (રહે.ખીંમત) ઈકો લઈને તેમના ઘરે આવ્યા હતા. અને વિષ્ણુસિંહના દીકરા શંભુસિંહને પાંથાવાડા ખાતે સીએનજી ગેસ પુરાવીને આવીએ છીએ તેમ કહીને શંભુસિંહ તથા સદુભા બંને જણા પાંથાવાડા ખાતે ગેસ ભરાવી પરત ખીંમત તરફ જઈ રહ્યા હતા.
ત્યારે પાંથાવાડા-ખીંમત હાઇવે પર આવેલ પાંચ પીપળા પાટીયા નજીક ખીંમત તરફથી આવતી આઇસર ટ્રક નંબર GJ-02-XX-8632ના ડ્રાઈવરે ટ્રક ચલાવી ઇકો નંબર GJ-01-RX-8519ને ધડાકાભેર ટક્કર મારતા ઇક્કોનો ડ્રાઇવર સદુભા નાગજી ઠાકોર તથા બાજુમાં બેઠેલ શંભુસિંહ વિષ્ણુસિંહ ઠાકોરને ગંભીર ઇજાઓ થતાં બંને જણાનું મોત થયું હતું.
અકસ્માતમાં ઇક્કોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ધડાકાભેર ટક્કર મારતાં આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇક્કો ગાડીમાં ફસાયેલ બંને યુવકોને બહાર કાઢી એમ્બ્યુલન્સ દ્વારા પાંથાવાડા સરકારી હોસ્પિટલ ખાતે લાશને પીએમ અર્થે ખસેડાઈ હતી. મૃતકના પિતાએ પાંથાવાડા પોલીસ મથકે આઇસર ચાલક વિરુધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધાનેરાના ખીંમત ગામના શંભુસિંહ વિષ્ણુસિંહ ઠાકોર તેમના ઘરે હતા. ત્યારે તેમના કૌટુંબિક ભાઈ સદુભા નાગજી ઠાકોર તેમની ઇકો લઈને આવ્યા હતા. અને ચાલો આપણે ગેસ પુરાવીને પરત આવીએ તેમ કઈ સાથે લઈ ગયા હતા. જોકે, પરત આવતી વખતે તેમને કાળ આંબી ગયો હતો.
From – Banaskantha Update