ડીસાના ઝેરડામાં બોરમાંથી મીઠા પાણીની જગ્યાએ ખારું પાણી નીકળતા ખેડૂતોનો હાલત કફોડી બની

- Advertisement -
Share

રણની કાંધીએ અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની તીવ્ર અછત સર્જાય છે. જ્યારે આ વર્ષે ડીસા તાલુકાના ઝેરડા ગામમાં ખેતરોમાં બનાવેલા બોરમાંથી ખારું પાણી આવતા હજારો હેક્ટર જમીનમાં ખેતીનો પાક નિષ્ફળ જઇ રહ્યો છે. લોકોએ સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવા માટે પણ બહારથી ટેન્કર મંગાવીને પાણી પીવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

 

 

આ દ્રશ્યો કોઈ બનાસકાંઠાના સરહદી કે રણ વિસ્તારના નથી પરંતુ આ દ્રશ્યો છે ડીસા તાલુકાના ઝેરડા ગામના અહીંના ખેડૂતો પાસે 20-20, 30 -30 વિઘા જમીન પોતાની હોવા છતાં અને પોતાની જમીનમાં બોર હોવા છતાં પણ અહીંના ખેડૂતોએ પીવા માટે બહારથી પાણીનું ટેન્કર મંગાવવું પડે છે, કારણ કે અહીંના બોરમાં હવે મીઠું નહિ પણ ખારું પાણી આવે છે.

 

 

અહીંના ખેડૂતો પોતાના ખેતરમાં 800થી 1000 ફૂટ ઊંડા બોર બનાવ્યા છે. પરંતુ તેમાં ખારું પાણી આવતા ખેડૂતોની હાલત દિન-પ્રતિદીન કફોડી બની રહી છે. પાણી ખારું આવતા પીવા માટે પણ બહારથી ટેન્કર મંગાવીને પાણી પીવું પડે છે. તો પછી સિંચાઈની તો વાત જ શું કરવી.

 

 

દર વર્ષે આ વિસ્તારમાં પાણીમાં તળ ઊંડા જઈ રહ્યા છે. જેના કારણે છેલ્લા ચાર-પાંચ વર્ષની અંદર હજારો હેક્ટર જમીનમાં ખેતીનો પાક પણ નિષ્ફળ જઇ રહ્યો છે અને ખેતી પાક નિષ્ફળ જતા ખેડૂતોને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

 

 

દર વર્ષે પૃથ્વી પરથી હજારો વૃક્ષોનો નિકંદન થઈ રહ્યું છે. વૃક્ષોની સંખ્યા ઘટતા અને પ્રદુષણ વધતા ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે રણ વિસ્તાર દિવસેને દિવસે વધી રહ્યો છે. જેથી બનાસકાંઠા જિલ્લાનો રણ વિસ્તાર પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. પાણીના તળ પણ ખૂબ ઊંડા જઈ રહ્યા છે. મીઠા પાણીનો સ્રોત પણ ઘટી રહ્યો છે અને આ જ અસરના કારણે આ વિસ્તારમાં પણ દર વર્ષે મીઠું પાણી ઘટી રહ્યું છે.

 

 

10 વર્ષ પહેલા અહીંના લોકો પોતાના જ ખેતરમાં બનાવેલા બોરમાંથી મીઠું પાણી પીતા હતા પરંતુ માત્ર 10 થી 12 વર્ષની અંદર અહીં મોટા ભાગના બોરમાંથી હવે ખારું પાણી આવવા લાગ્યું છે. જેની સીધી અસર અહીંના ખેડૂતોની જીવાદોરી સમાન ખેતી પર પડી છે. આ વિસ્તારની વાત કરીએ તો અંદાજે 30 થી 40 જેટલા ગામો ની અંદર એક હજારથી પણ વધુ ખેડૂતોની 18 થી 20 હજાર હેકટર જમીનમાં ખારૂ પાણી આવવા લાગ્યું છે.

 

 

મીઠા પાણીની આશાએ આ વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં ચાર ચાર, પાંચ પાંચ વખત બોર બનાવવાનો ખર્ચ કરી  ચૂક્યા છે અને લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ મીઠું પાણી મૃગજળ સમાન બની બની ગયું છે. ખારા પાણીના કારણે ખેતી પણ થતી નથી અને મોટાભાગની જમીન પર ખારો પટ છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા છે.

 

 

ત્યારે સરકાર આ વિસ્તારના ખેડૂતો માટે કોઈ ખાસ આયોજન કરે અથવા કોઈ યોજના દ્વારા આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગ છે.

 

 

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ જળાશયો છે તેમ છતાં પણ અહીંના ખેડૂતોની આ હાલત છે. ત્યારે છેવાડે રહેતા ખેડૂતોની શું હાલત હશે તેની કલ્પના જ શુ કરવી. ખારા પાણીના કારણે એક ખેડૂતને દર વર્ષે અંદાજે પાંચથી સાત લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

 

 

તેઓમાં સરકાર હવે સુફીયાણી વાતો કરવાના બદલે આ વિસ્તારના ખેડૂતોને મીઠું પાણી મળી રહે તે માટે ચોક્કસ આયોજન કરે તો જ અહીંના ખેડૂતોની હાલત સુધરી શકે તેમ છે. નહીંતર આગામી સમયમાં આ ખેડૂતોની પરિસ્થિતિ વધુ કફોડી બનતા રોકી નહીં શકાય.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!