સોમવાર રાત્રિએ માલપુર તાલુકાના મેવડા ગામે ખેતરમાં પાકનું નીલગાયોથી થતું ભેલાણ અટકાવવા પહેરો કરવા નીકળેલા ખેડૂતને નીલગાયના ટોળાંએ અડફેટે લેતાં ખેડૂત કૂવામાં ખાબકતાં પાણીમાં ગુંગળાઇ જવાથી મોત નીપજતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
નીલગાયની અડફેટે યુવકનું મોત થતાં માલપુર પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લામાં શિયાળુ પાકનો ખાત્મો બોલાવવા નીલગાય અને ભૂંડના ત્રાસથી બચવા માટે ખેડૂતોને રાત્રે ઉજાગરા કરવાની નોબત આવી છે. ખેડૂતો રાત્રિના સુમારે પોતાના મહામુલા પાકને બચાવવા જીવને જોખમમાં મૂકી ચોકી કરી રહ્યા છે.
સોમવારે રાત્રે મેવડા ગામના જગદીશભાઈ રમણભાઈ પટેલ (46) તેમના ખેતરમાં પકવેલા પાકનું નીલગાયોથી થતું ભેલાણ અટકાવવા ચોકી પહેરો કરવા ગયા હતા. ત્યારે નીલગાયોના ટોળાંને ભગાડવા જતાં નીલગાયોનુ ટોળું ખેડૂત તરફ ધસી આવતાં નીલગાયની ટક્કરથી ખેડૂત ખેતરમાં રહેલા કૂવામાં ખાબકતાં કૂવામાં રહેલા પાણીમાં ગૂંગળાઈ જવાથી મોત નીપજતાં ભારે ચકચાર મચી હતી.
રાત્રિએ ખેતરનું રખોપું કરવા જનાર ખેડૂત ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરતાં ખેડૂતનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી, માલપુર પોલીસે વિઠ્ઠલભાઈ વાલાભાઇ પટેલની ફરિયાદના આધારે મૃતક જગદીશભાઈ રમણભાઈ પટેલના મૃતદેહને પી.એમ.માટે માલપુર સીએચસીમાં ખસેડી કાર્યવાહી હાથધરી હતી.