બનાસકાંઠા- અરવલ્લીની પોલીસ ચેકપોસ્ટો નધણિયાતી થઈ, થર્ટીફર્સ્ટ માટે દારૂની બેરોકટોક હેરાફેરી માટે મોકળું મેદાન

- Advertisement -
Share

રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ 23મી ડિસેમ્બરે પરિપત્ર બહાર પાડીને આંતરરાજ્ય અને જિલ્લાકક્ષાની પોલીસ ચેકપોસ્ટ બંધ કરાવી છે. ત્યારે રાજસ્થાનને અડીને આવેલા અરવલ્લીની રતનપુર શામળાજી અને બનાસકાંઠા અંબાજી અને અમીરગઢની પોલીસ ચેકપોસ્ટ નધણિયાતી થઈ છે. ત્યાં કોઈ પોલીસકર્મી હાજર નથી. અહીં કોઈપણ પ્રકારની ચેકિંગ વગર દરેક પ્રકારના વાહનો પસાર થઈ રહ્યા છે. નજીકના દિવસોમાં જ થર્ટીફર્સ્ટ આવી રહી છે ત્યારે પાડોશી રાજ્યમાંથી બેરોકટોક દારૂની હેરાફેરી થવાની શક્યતા વધી ગઈ છે.વિવાદાસ્પદ નિર્ણય

ગુજરાત રાજ્યને જોડતી આંતરરાજ્ય અને જિલ્લાકક્ષાની તમામ પોલીસ ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો વિવાદાસ્પદ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ કરેલા પરિપત્રમાં તાત્કાલિક અસરથી આ નિર્ણયની અમલવારી કરવામાં આવતા રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વાહનચેકિંગ સહિત પોઈન્ટ હટાવી લેવામાં આવ્યા છે અને અહીં ફરજ બજાવતા તમામ પોલીસજવાનોને જે તે શહેર-જિલ્લાની અન્ય કામગીરીમાં મૂકી દેવામાં આવ્યા હોવાનું પોલીસ અધિકારી સુત્રોનું કહેવુ છે. જો કે, આ વિવાદીત નિર્ણયને કારણે ગુનાખોરી સાથે સંકળાયેલા તત્વોને મોકળું મેદાન મળી શકે છે અને રાજ્યમાં દારૂની ડિલીવરી પણ બેરોકટોક શરૂ થઈ શકે છે. ગુજરાત રાજ્યની સ્થાપ્ના બાદ પહેલીવાર આ નિર્ણય લેવાયો છે.
ફેક્સ કરીને પોલીસ ચેકપોસ્ટ હટાવી

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ 23 ડિસેમ્બરે રાજ્યના તમામ પોલીસ કમિશનર, તમામ જિલ્લા અધિક્ષક, એટીએસ તથા કોસ્ટલ સિકયુરિટીના વડા સહિતના અધિકારીઓને ફેક્સ મેસેજ કર્યો હતો. જેમાં તાત્કાલિક અસરથી ગુજરાતને જોડતી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર ઉપરાંત દરિયાઈ પોલીસ ચેકપોસ્ટ હટાવી લેવા આદેશ આપ્યો હતો. અને આ ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારી-જવાનોને સ્થાનિક કક્ષાની કાયદો અને વ્યવસ્થાને આનુસંગિક ડયુટીમાં તહેનાત કરી દેવા સૂચના આપવામાં આવી હતી.
અધિકારીઓમાં કચવાટ

ઉચ્ચ પોલીસ અધિકારી સુત્રોએ કહ્યું કે, અમને આદેશ આપવામાં આવતા જિલ્લાની સરહદો ફ્રી કરી દેવામાં આવી છે. કયા કારણોસર નિર્ણય લેવાયો તે અંગે પોલીસ અધિકારીઓમાં પણ કચવાટ છે. જો કે, આ અંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘આ નિર્ણય ડીજી કક્ષાએથી લેવાયો છે જેથી કયા કારણોસર કરવામાં આવ્યો છે તેની સ્પષ્ટતા નથી. ’
ચેકપોસ્ટ હટતા આ સવાલો ઉભા થવાની સંભાવના
1 રાજ્યમાં દારૂબંધી છે ત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી દારૂની હેરાફેરી કરનારા તત્વોને કેવી રીતે અંકુશમાં લેવાશે ?
2 દરિયાઈ માર્ગે ભૂતકાળમાં પણ આંતકવાદી ઘુસ્યા છે ત્યારે દરિયાઈ સહિતની રોડની ચેકપોસ્ટ હટાવાતા ભાંગફોડિયા તત્વોની ઘુસણખોરી કેવી રીતે અટકાવી શકાશે?

3 રાત્રિના સમયે થતી ગુનાહિત પ્રવૃતિને કેવી રીતે અટકાવી શકાશે ?
4 ગુનો કરીને ભાગી છૂટતા આરોપીઓને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા રોકવા માટેની હવે કંઈ વ્યવસ્થા રહેશે ?
રાજ્યમાં આંતર જિલ્લા વચ્ચે અંદાજે 200 થી વધુ ચેકપોસ્ટ
રાજ્યમાં આંતરજિલ્લાઓ અને જિલ્લાની અંદર તાલુકા કક્ષાએ અંદાજે 200થી વધુ ચેકપોસ્ટ છે. દરેક ચેકપોસ્ટ ખાતે અંદાજે પાંચ જેટલા કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે. ખાસ કરીને રાત્રિના સમયે આ બંદોબસ્ત વધારવામાં આવે છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!