બનાસકાંઠા આંદોલનનું એપી.સેન્ટર બનતું જઈ રહ્યું છે.
ગૌશાળા પાંજરાપોળોનાં આંદોલનની સાથે સાથે અર્બુદા સેના દ્વારા પણ આજે હજારોની જનમેદનીમાં મહાસંમેલન યોજાયું
દૂધસાગર ડેરીમાં નાણાકીય ગોટાળા મામલે ડેરીના પૂર્વ ચેરમેન અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ કરાયા બાદ હાલ પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે આજે વિપુલ ચૌધરી સામે થયેલી કાર્યવાહીના વિરોધમાં બનાસકાંઠાના થાવરમાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં સરકારે કિન્નાખોરી રાખી કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. આગામી સાત દિવસમાં વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં નહીં આવે તો જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
બનાસકાંઠઆના ધાનેરા તાલુકાના થાવરમાં આજે અર્બુદા સેના દ્વારા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઊમટી પડ્યા હતા. બનાસકાંઠા ઉપરાંત પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વસવાટ કરતા ચૌધરી સમાજના લોકો સભામાં હાજરી આપવા પહોંચ્યા હતા.
વિપુલ ચૌધરીની ખાલી ખુરશી પર પાઘડી રાખવામાં આવી
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામે આજે અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન અગાઉ વહેલી સવારે ધાનેરાના સામરવાડા ખાતેથી થાવર ગામ સુધી ચૌધરી સમાજની બાઈક રેલી યોજાઈ અને બાઈક રેલીમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો જોડાયા હતા. રેલી બાદ થાવર ગામે અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું હતું.
સંમેલનમાં હાજર ચૌધરી સમાજના આગેવાનોએ કહ્યું હતું કે, વિપુલ ચૌધરી સામે રાજકીય કિન્નાખોરી રાખી કાર્યવાહી કરવામાં આવી છે. સાત દિવસમાં તેમની સામેની ફરિયાદ પાછી લઈ મુક્ત કરવામાં આવે. જો મુક્ત કરવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
વિપુલ ચૌધરી અગાઉ દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન ડેરીના નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે, દૂધસાગર ડેરીમાં નાણાકીય ગેરરીતિની ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી, આ તપાસ બાદ રૂપિયા 800 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. વિપુલ ચૌધરી અને તેમના CA સામે પગલાં ભરીને આખરે બંનેની ધરપકડ કરવામાં આવી હતી, જેમને મહેસાણા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.