બિકાનેર-બ્રાન્દ્રા ટ્રેનમાં મુંબઇ જતાં મુસાફરોએ ભોજન માટે ફરિયાદ કરતાં ઝઘડો કર્યો
પાલનપુર રેલ્વે સ્ટેશને 3 દિવસ અગાઉ ટ્રેનનું ચેન પુલીંગ કરી ફૂડ પ્લાઝાના 5 ફેરીયાઓએ નશાની હાલતમાં મુસાફરો ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી.
આ અંગે મુસાફરોએ ફરિયાદ ન નોંધાવતાં પાલનપુર રેલ્વે પોલીસના કર્મીએ ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, મુંબઇના મનિષભાઇ જગતરામ જધણી, સિધેશ અને સાહીલીબેન કરાટેના વિદ્યાર્થીઓને લઇ તા. 7 મીએ બિકાનેર-બ્રાન્દ્રા ટ્રેનમાં મુંબઇ જઇ રહ્યા હતા.
ત્યારે ચાલુ ટ્રેનમાં પાલનપુર રેલ્વે સ્ટેશન ફૂડ પ્લાઝાના ફેરીયાઓ સાથે ભોજન બાબતે માથાકૂટ થઇ હતી. તે દરમિયાન પાલનપુર નજીક ટ્રેન આવી ત્યારે ફેરીયાઓએ વારંવાર ચેન પુલીંગ કરી ટ્રેન રોકાવી હતી
અને ફૂડ પ્લાઝામાં જઇ લાકડી, સ્ટીલનો ચાનો બમ્બો અને લોખંડનો ઝારો લઇ રીઝર્વેશન કોચ નં. એસ.ઇ. 1 માં મુસાફરો ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી.
જોકે, મુસાફરો તેમની સામે ફરિયાદ ન નોંધાવતાં પાલનપુર રેલ્વે પોલીસના કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે પાલનપુર રેલ્વે સ્ટેશન માસ્તર દિનેશભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, ‘બિકાનેર-બ્રાન્દ્રા ટ્રેનમાં ફેરીયા અને મુસાફરો વચ્ચે થયેલી બબાલમાં વારંવાર ચેઇન પુલીંગ થતાં પાલનપુર રેલ્વે સ્ટેશને ટ્રેન 1 કલાક 10 મિનીટ સુધી મોડી પડી હતી.’
પ્લેટ ફોર્મ ઉપર ફેરીયાઓ ખેડા જીલ્લાના ચેતરસુંબાનો રાજેશ કનુભાઇ રોજીત, મધ્યપ્રદેશના રૂકાટીનો સોનું અતરસિંગ ગુર્જર, મારેનાનો અંકીત સત્યપ્રકાશ શર્મા અને રૂકાટીનો અંશુલ શિવનાથસિંહ તોમરે દારૂ પી ધમાલ કરતાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update