બનાસકાંઠા જિલ્લામાં બાળ લગ્ન અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર લગ્ન સમારંભો પર બાજ નજર રાખશે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ – 2006ની જોગવાઇ મુજબ જો 21 વર્ષથી નાની ઉંમરનો યુવક તથા 18 વર્ષથી નાની ઉંમરની યુવતિના લગ્ન થાય તો તેને બાળ લગ્ન કહેવામાં આવે છે.
તેથી અખાત્રીજ નિમિતે આવા બાળ લગ્નો ન થાય તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ પ્રકારના બાળ લગ્નોમાં સામેલ થનાર ગોર-મહારાજ, રસોયા, મંડપ, ડેકોરેશન, ડી.જે, બેન્ડ બાજાવાળા, ફોટોગ્રાફર સહિતનાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે બાળ લગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે વર – કન્યાના માતા-પિતા તથા લગ્નમાં સામેલ થતાં અન્ય લોકો પણ બાળ લગ્નની મદદગારીમાં સામેલ હોય તો તેમની સામે પણ ગુનો બનતો હોય છે.
બાળ લગ્નોની જાણકારી સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા પોલીસને મળે ત્યારે તાત્કાલી બાળ લગ્ન અટકાવવામાં આવશે. જેના પરિણામે લગ્ન કરાવનારની પ્રતિષ્ઠાને પણ અસર થાય છે. તેથી લગ્ન નક્કી થાય તે પહેલાં જ વર-કન્યાની ઉંમરની ચકાસણી કરી લેવામાં આવે તો બાળ લગ્નનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં.
ઉલ્લેખનીય છે કે 21 વર્ષથી નાના યુવક તથા 18 વર્ષથી નાની યુવતીના લગ્ન કરવા, કરાવવા કે આવા લગ્ન કરાવવામાં આવે તો વર-કન્યાના માતા-પિતા, લગ્ન કરાવનાર ગોર મહારાજ, સમૂહ લગ્નના આયોજકો, કેટરર્સ, મંડપ સર્વિસવાળા, ફોટોગ્રાફર, ડી.જે., બેન્ડ બાજા વાળા સહિતના મદદગારી કરનાર ઈસમો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં જો કોઈપણ જગ્યાએ બાળલગ્નો જણાઈ આવે તો બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ભોંયતળીયે રૂમ નં-32-33, જિલ્લા સેવા સદન – 02, જોરાવર પેલેસ, પાલનપુર જી – બનાસકાંઠા (ફોન નં- 02742 – 252478), જિલ્લા બાળ સુરક્ષા એકમ, ભોંયતળીયે, રૂમ નં.34 – 35, જિલ્લા સેવા સદન – 02, જોરાવર પેલેસ, પાલનપુર, જિ.બનાસકાંઠા (ફોન નં – 02742 – 251800),
ચાઈલ્ડ હેલ્પ લાઈન ટોલ ફ્રી નં. 1098, મહિલા હેલ્પલાઈન અભયમ ટોલ ફ્રી નં. 181 પોલીસ કંટ્રોલ નંબર – 100ને જાણ કરવા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બનાસકાંઠા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી.