બનાસકાંઠાના ડીસામાં રહેતા એક પરિવારે વૃદ્ધના અવસાન બાદ તેમના દેહનું દાન કરીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અવસાન બાદ પણ પોતાનું શરીર સમાજને ઉપયોગી બની રહે અને મેડિકલના વિધાર્થીઓને માનવ દેહના અભ્યાસમાં તેમની કાયા મદદરૂપ બને તે માટે અવસાન બાદ આ વૃદ્ધના દેહને બનાસ મેડિકલ કોલેજમાં વિધાર્થીઓના અભ્યાસ માટે દાન કરવામાં આવ્યું.
માનવ શરીર જેટલું જીવિત અવસ્થામાં કામ લાગે છે, તેટલું મૃત અવસ્થામાં પણ ઉપયોગી સાબિત થતુ હોય છે. ત્યારે સમાજ માટે ઉપયોગી બનવાના આશયથી ડીસાના એક પરિવારે વૃદ્ધના દેહનું આજે દાન કર્યું છે અને સમાજને દેહદાનનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. માનવ શરીરએ કુદરત નિર્મિત છે એને માનવ દ્વારા બનાવી શકાતું નથી.
એક તરફ અત્યારે માનવ જીવન પર અનેક બીમારીઓ પ્રહાર કરી રહી છે. ત્યારે આ બીમારીઓ સામે માનવ જાતિને બચાવવા માટે મેડિકલના વિધાર્થીઓ નવી નવી શોધ કરી રહ્યાં છે. આ વિધાર્થીઓને પોતાના અભ્યાસ માટે માનવ શરીરની જરૂરિયાત ઊભી થતી હોય છે અને માનવ શરીરના બંધારણના અભ્યાસ માટે તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
પરંતુ માનવ શરીરની અછત હોવાના લીધે વિધાર્થીઓ પૂરતો અભ્યાસ કરી શકતા નથી. ત્યારે ડીસાના રહેવાશી અને દાંતીવાડા સિંચાઇ વિભાગમાં કેનાલ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા દિનેશચંદ્ર વિરેશ્વરભાઈ દવેનું અવસાન થયા બાદ તેમના પરિવારે તેમના દેહને મેડિકલ વિધાર્થીઓના અભ્યાસ માટે દાન કર્યું છે.
દિનેશભાઇ દવે 81 વર્ષની વયે તેમણે પોતાનો છેલ્લો શ્વાસ લીધો. દિનેશભાઇ દવે 60 વર્ષના હતા ત્યારે જ તેમણે અને તેમની સાથે તેમની દીકરી અને પત્નીએ પોતાના દેહનું દાન કરવાનો વિચાર કર્યો હતો. દિનેશભાઇ દવેએ અંતિમ શ્વાસ લેતા તેમના પરિવાર દ્વારા દિનેશભાઇના પાર્થિવ દેહનું દાન કરવામાં આવ્યું હતું.
દિનેશભાઈએ તેમના અવસાન પહેલા જ ડીસામાં કાર્યરત શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરીને તેમના દેહનું દાન કરવા માટે સંમતિપત્રક આપ્યું હતું. શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ દેહ દાનનો સ્વીકાર કરે છે અને ત્યારબાદ દાનમાં આવેલા પાર્થિવ શરીરને મેડિકલ કોલેજના વિધાર્થીઓના અભ્યાસ માટે મેડિકલ કોલેજ સુધી પહોંચાડે છે.
ત્યારે ગઈકાલે દિનેશભાઇ દવેએ વહેલી સવારના અંતિમ શ્વાસ લેતા તેમના પરિવાર દ્વારા દિનેશભાઇના પાર્થિવ દેહને શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો. શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિનેશભાઇના પાર્થિવ દેહને પાલનપુરની બનાસ મેડિકલ કોલેજના વિધાર્થીઓના અભ્યાસ માટે મોકલવામાં આવ્યો હતો.
વર્તમાન સમયમાં નવી-નવી બીમારીઓ વચ્ચે મેડિકલ સુવિધા જ એકમાત્ર રામબાણ ઈલાજ છે. પરંતુ મેડિકલ કોલેજના વિધાર્થીઓને અભ્યાસ માટે પૂરતા પ્રમાણમાં માનવ શરીર ના મળતા અભ્યાસ કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. તો બીજી તરફ લોકોએ પણ દેહદાન અંગે જાગૃત બનીને પોતાના અવસાન બાદ પોતાના નશ્વર શરીરનું મેડિકલના વિધાર્થીઓ માટે દાન કરવામાં આવે તો મેડિકલ ક્ષેત્રમાં વધુને વધુ પ્રગતિ થઈ શકે અને વર્તમાન સમયમાં સમાજની પણ આ માંગ ઊભી થઈ છે.
From – Banaskantha Update