કિશોરનું અપહરણ નહી પરંતુ રસ્તો ભૂલી ગયો હતો : પી.આઇ.
ડીસાના ભોપાનગરમાં આવેલા આંબેડકરનગરમાં એક 10 વર્ષિય કિશોરનું અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જો કે, કિશોરનું અપહરણ નહી પરંતુ રસ્તો ભૂલી ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા-પાટણ રોડ ઉપર આવેલ ભોપાનગર વિસ્તારના આંબેડકરનગરમાં રહેતાં નટવરલાલ ભીખાલાલ સોલંકી ભાવનગર ખાતે રેલ્વે પ્રોટેક્શન ફોર્સમાં નોકરી કરે છે અને હાલમાં રજા ઉપર આવેલ છે.
છેલ્લા એક માસથી ડીસા ખાતે રહે છે. રવિવારે તેમનો નાનો દીકરો દિવ્ય ઉર્ફે ગોલી (ઉં.વ.આ. 10) આંબેડકરનગર ખાતે રહેતાં તેમના ભાઈ કિશોરભાઈને ત્યાં ગયેલો હતો અને બીજા દિવસે નટવરભાઇએ તેમના મોટા દીકરા લક્સને તેમને ભાઇને ત્યાંથી ગોલીને લેવા માટે મોકલ્યો હતો.
જો કે, લક્સ આંબેડકરનગરમાં જઈને પરત આવ્યો હતો અને કહેવા લાગેલ કે, ગોલી ત્યાં નથી. જેના પગલે નટવરભાઈ પોતે ટેલિફોન કરી તેમના ભાભીને ગોલી વિશે પૂછતાં તેમને કહેલ કે, ગોલી તો અહીંથી નીકળી ગયો છે.
જેથી નટવરભાઈ પોતે તેમના ભાઈને ત્યાં ગયા હતા અને તેમના ભત્રીજાને ગોલી બાબતે પૂછતાં જણાવેલ કે, મેં ગોલી ટી.વી. જોતો હતો પરંતુ ઘરેથી નીકળી ગયો હતો.
જો કે, આ વાતને પગલે નટવરભાઈ અને પરિવારજનોએ આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરી હતી અને સગા-સબંધીને પણ પૂછતાં ગોલી ઉર્ફે દિવ્યનો ક્યાંય પતો લાગ્યો નહી.
જેથી નટવરભાઈએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે તેમના દીકરા ગોલી ઉર્ફે દિવ્યને કોઈ શખ્સ અપહરણ કરી ગયો હોવા બાબતે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તેમની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે કિશોરનું અપહરણ કરવા બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જો કે, કિશોરનું અપહરણ નહી પરંતુ રસ્તો ભૂલી જતાં પોલીસે રાજમંદિર નજીકથી કિશોરને શોધી તેમના પરિવારને સોંપ્યો હતો તેમ પી.આઇ. એસ.એમ.પટણીએ જણાવ્યું હતું.
From-Banaskantha update