કોરોના કાળમાં સૌ કોઇ આર્થિક તંગીનો સામનો કરી રહેલ છે અને એમાંય ખાસ કરીને બમણી માર ઝેલનાર ખેડૂતની હાલત કફોડી છે અને આવા કપરા સમયે પણ ખેડૂત વર્ગને લૂંટનાર લોભીયાઓ સામે જાણીતી ગ્રાહક હીત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ-ડીસાએ લાલ આંખ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના જડીયા ગામમાં રહેતાં ખેડૂત રડમલભાઇ કરમસીભાઇ ડાભીને ઉર્વરક ખાતરની જરૂર હોઇ ખાતર ખરીદવા ધાનેરામાં ગંજ બજારમાં આવેલ ધી બનાસકાંઠા કો. ઓપરેટીવ માર્કેટીંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી લિ. માં જઇ સરદાર ફર્ટીલાઇઝરની 2 થેલીઓ ખરીદી હતી.
અને એક થેલીના રૂ. 775 મુજબ 2 થેલીના રૂ. 1,550 આપતાં સોસાયટીના વહીવટકર્તાઓએ ગ્રાહક પાસેથી એમ.આર.પી. કરતાં વધુ ભાવ એટલે કે 2 થેલીના રૂ. 1,700 વસૂલ કર્યાં હતા.
ધી બનાસકાંઠા કો. ઓપરેટીવ માર્કેટીંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટીના સંચાલકો દ્વારા ખેડૂત પાસેથી રૂ. 150 વધારે વસૂલ લેતાં ગ્રાહક રડમલભાઇએ ગુજરાતની જાણીતી ગ્રાહક હીત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક-ગ્રાહક સુરક્ષા
મંડળની કચેરીએ લેખિત ફરિયાદ મોકલી આપતાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કિશોર દવેએ ફરિયાદને ગંભીરતાથી લઇ વધુ ભાવ લેનાર સોસાયટીના પ્રમુખ,મંત્રી, સંચાલક અને વહીવટકર્તાને ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઇઓ મુજબ નોટીસ આપી ગ્રાહક પાસેથી વધારાના વસૂલ લીધા હતા.
નાણાં રૂ. 150 ઉપરાંત ખર્ચ અને માનસિક ત્રાસના નાણાં સાથે પરત કરવા અને સોસાયટીએ આચરેલ સેવામાં ખામી અને અનૈતિક વેપાર પદ્ધતિ બદલ રાજ્ય ગ્રાહક કલ્યાણ નિધીમાં રૂ. 5,00,000 (અંકે રૂ. પાંચ લાખ) જમા કરવા તાકીદ કરી છે અને જો નોટીસમાં જણાવ્યા મુજબનું વળતર ચૂકવવામાં ચૂક કરશે તો ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરવામા આવશે.
આ અંગે કિશોર દવેએ જણાવ્યું હતું કે, ‘જો કોઇ વેપારી એમ.આર.પી. કરતાં વધુ ભાવ લેતાં હોવાનું ગ્રાહકોના ધ્યાને આવે તો ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહક અદાલત અથવા નજીકની ગ્રાહક સુરક્ષા સંસ્થા, તાલુકા ગ્રાહક સુરક્ષા અધિકારી અને જીલ્લા ગ્રાહક સુરક્ષા અધિકારી વગેરેને ફરિયાદ કરવી જોઇએ.’
From-Banaskantha update