થરાદથી ડીસાનો 18 કિ.મી. નેશનલ હાઇવે રૂ. 63 કરોડના ખર્ચે સર્વિસ રોડ સાથે ફોરલેન બનશે : થરાદમાં 8 એકર જગ્યામાં અત્યાધુનિક સુવિધાસભર કોલેજ અને ગડસીસરમાં આધુનિક મોડલ સ્કૂલ બની રહી છે : ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલો 125 કિ.મી.નો ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ-વે થરાદથી પસાર થાય છે
નવો જીલ્લો બનવાની હરોળમાં રહેલા 6 રાજ્યોના હાઇવેને જોડતાં બનાસકાંઠા જીલ્લાના સરહદી થરાદ પંથકમાં છેલ્લા 2 વર્ષથી વિવિધ ક્ષેત્રોમાં વિકાસની હારમાળા સર્જાઇ રહી છે.
રસ્તાઓની વાત કરીએ તો, મીઠા રોડ પર ચાર રસ્તાથી રૂ. 11.70 કરોડના ખર્ચે ઢોળાવ કાપી 2 ફૂટ ઉંચો લઇ નવો બનાવવામાં આવ્યો છે.
ભારતમાલા પરિયોજના અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયા દ્વારા બની રહેલા ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ-વે અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરીડોર (રાજસ્થાન-ગુજરાત)ના સાંચોર-સાંતલપુરના સીક્સલેન 125 કિ.મી. માર્ગ પ્રગતિમાં છે.
જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ધાનેરાથી થરાદને જોડતો 168 નંબરનો પાંથાવાડાથી થરાદને જોડતો નેશનલ હાઇવે ઢોળાવ કાપી ફોરલેન બનાવ્યો છે.
થરાદ નગરમાં પાણીના ટાંકાથી નર્મદા કેનાલ સુધીનો હયાત 68 નંબરનો હાઇવે પહોળો કરી ફોરલેન બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.
જ્યારે ભારતમાલાને થરાદથી લિંક કરતો અમદાવાદના દસક્રોઇથી બનાસકાંઠાના થરાદ સુધીનો 213.5 કિ.મી. લાંબો સિક્સલેન પણ બનાવાઇ રહ્યો છે.
બીજા તબક્કામાં થરાદથી ડીસાનો 18 કિ.મી. નેશનલ હાઇવે રૂ. 63 કરોડના ખર્ચે (થરાદ ચાર રસ્તાથી મલુપુર સુધી) સર્વિસ રોડ સાથે ફોરલેન બનશે.
આ સાથે શિક્ષણમાં થરાદના ગડસીસરમાં આધુનિક મોડલ સ્કૂલ અને થરાદમાં વર્તમાન સરકારી કોલેજની નજીક જ 8 એકર જગ્યામાં અત્યાધુનિક સુવિધાસભર કોલેજનું નવું મકાન પણ બનાવાઇ રહ્યું છે.
2006-07 માં સરહદી પંથકની સૂકીભઠ્ઠ ધરા પર આગમન થયા બાદ નર્મદા મૈયાના નીરથી ખેડૂતો આર્થિક રીતે 2 પાંદડે થતાં રાજ્યમાં દાડમની બાગાયતી ખેતીમાં થરાદ ગુજરાતનું હબ બન્યું છે.
ચીલાચાલુ ખેતીમાં પણ ચારેય સિઝન લઇ શકાતી હોવાથી રાજસ્થાનના નજીકના ગામો પણ થરાદ માર્કેટયાર્ડ સુધી માલ વેચાણ કરવા આવે છે. અગાઉ લોકોના ઘરે ટી.વી. પણ ન હતી અને આજે ઘર દીઠ વાહનની સુવિધા છે.
થરાદના મહાજનપુરા નજીક નર્મદા મુખ્ય નહેરમાંથી અંદાજે રૂ. 900 કરોડના ખર્ચે સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખી 3 પમ્પીંગ સ્ટેશનો દ્વારા પાણી પહોંચાડવામાં આવશે.
જેનાથી 15,000 એકર વિસ્તારને પિયત માટે લાભ મળશે. થરાદ તાલુકાના 20 થી 25 ગામોના તળાવો ભરાશે. જ્યારે થરાદથી સીપુ સુધીના 70 ગામોના તળાવો ભરવાની અને સુજલામ-સુફલામ કેનાલમાં પાણી નાખવાની યોજના છે.
From-Banaskantha update