20 બાળકો ભાડાના બિસ્માર ઓરડામાં બેસવા માટે મજબૂર
વડગામના મગરવાડામાં છેલ્લા 2 વર્ષથી આંગણવાડી-2 ના 20 બાળકો ભાડાના બિસ્માર ઓરડામાં બેસવા માટે મજબૂર બન્યા છે. જેથી તાત્કાલીક આંગણવાડી બનાવવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.
મગરવાડા ગામમાં આંગણવાડી-2 જૂનું મકાન પાડી નવું બનાવવા માટેનું કામ છેલ્લા 2 વર્ષથી ખોરંભે ચડયું છે. જેને લઇ આંગણવાડી કાર્યકર અને ગામના આગેવાનો દ્વારા ગ્રામ પંચાયત સહીત ઉચ્ચકક્ષાએ
અને તાલુકાના નેતાઓને વારંવાર લેખિત રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય. ત્યારે આ આંગણવાડીના 20 કરતાં વધુ બાળકો ન છૂટકે જર્જરીત મકાનમાં બેસવા મજબૂર બન્યા છે.
આ અંગે ગામના અગ્રણી હેમાભાઇ જેઠાભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, ‘આંગણવાડીનું નવું મકાન બનાવવા 4 માસ પહેલાં પાયા ખોદ્યા હતા પણ ત્યારબાદ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વળતાં જોવા આવ્યા નથી.
છેલ્લા 2 વર્ષથી કલેક્ટર, ડી.ડી.ઓ., પી.ઓ., ગાંધીનગર મહીલા અને બાળ કલ્યાણ વિભાગ સુધી વારંવાર લેખિત રજૂઆતો કરી છે અને તાલુકાના નેતાઓને પણ રજૂઆતો કરી હતી તેમ છતાં જવાબદાર તંત્રના
અધિકારીઓ અને નેતાઓ આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે સત્વરે આ આંગણવાડીનું મકાન નવું બનાવવા ગ્રામજનો અને અરજદારની માંગ ઉઠી છે.’
From-Banaskantha update