દોઢ વર્ષની બાળકીને પલંગમાં બેસાડી તેની નજર સામે માતાએ અંતિમ પગલું ભર્યું : સાસરીયાના ત્રાસથી જીવન લીલા સંકેલી હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
અમીરગઢ તાલુકાના સરોત્રા ગામમાં 3 સંતાનની માતાએ પોતાની દોઢ વર્ષની પુત્રીને પલંગમાં બેસાડી તેની નજર સામે જીવન લીલા સંકેલી લેતાં ચકચાર મચી ગઇ હતી.
તેણીએ પતિ સહીત સાસરીયાઓના ત્રાસથી આ પગલું ભર્યુ હોવાની મૃતકના મામાએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, અમીરગઢ તાલુકાના સરોત્રા ગામમાં બીનુંદેવી ગવારીયાએ ગુરૂવારે પોતાની નાની પુત્રીને પલંગમાં બેસાડી નજર સામે જીવન લીલા સંકેલી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
રાજસ્થાનના પિંડવાડા તાલુકાના ઉડવાડીયાના રમેશકુમાર કાળુરામ ગવારીયાએ જણાવ્યું હતું કે, ‘મારી ભાણેજના લગ્ન પોપટલાલ મેરાજભાઇ ગવારીયા સાથે કર્યાં હતા.
એકાદ વર્ષ બાદ પતિ નાની બાબતોમાં ઝઘડા કરી મારઝૂડ કરતો હતો. સસરા મેરાજભાઇ પણ દહેજની માંગણી કરી ત્રાસ ગુજારતા હતા. તેમના ત્રાસથી તેણીએ જીવન લીલા સંકેલી હતી.’
દીકરી જોતી રહી અને માતાએ અંતિમ પગલું ભરતાં અરેરાટી પ્રસરી હતી. પરિણીતાએ દરવાજો અંદરથી બંધ કરી જીવન લીલા સંકેલી હતી. જ્યાં પરિવારજનોએ બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જેમણે પોલીસને જાણ કરતાં પોલીસે દરવાજો તોડી અંદર ગયા હતા.
From-Banaskantha update