ફરાર ચાલક સહીત 2 સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી
પાલનપુર-આબુ હાઇવે ઉપર ખેમાણા ટોલનાકા નજીકથી જીવદયાપ્રેમીઓએ ટ્રકમાં કતલખાને લઇ જવાતાં 16 પશુઓ બચાવ્યા હતા. પોલીસે ટ્રક મૂકી નાસી છૂટેલા ચાલક સહીત 2 સામે પશુ ક્રૂરતા અધિનિયમનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુરના એરોમા સર્કલ નજીક બાઇક ઉપર પસાર થઇ રહેલા વિશાલભાઇ મહેન્દ્રભાઇ પંચાલ અને તેમના મિત્ર અમીરગઢ તાલુકાના જેથીના લાલજીભાઇ અમરતભાઇ
દેસાઇએ હનુમાન ટેકરી નજીક શંકાસ્પદ ટ્રક નં. GJ-08-AG-8513 ઉભી રખાવા માટે પ્રયત્ન કર્યો હતો. જોકે, ચાલકે ટ્રક ઉભી ન રાખતાં બંનેએ તેનો પીછો કર્યો હતો.
જ્યાં પાલનપુર આબુ હાઇવે ઉપર ખેમાણા ટોલનાકા નજીક ટ્રાફીક હોવાથી ટ્રક ઉભી રાખી તેનો ચાલક અને અન્ય શખ્સ નાસી છૂટ્યા હતા. જ્યાં જીવદયાપ્રેમી પાલનપુરના નળાસરના ચેતનભાઇ કરશનભાઇ પંચાલ
અને પાલનપુરના રાહુલભાઇ વિજયભાઇ જૈન પણ આવી પહોંચ્યા હતા. બધાએ ટ્રકની તલાસી લેતાં અંદર પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કર્યાં વિના ખીચોખીચ હાલતમાં ભરેલી 16 નંગ ભેંસ મળી આવી હતી. આ અંગે જાણ કરતાં પોલીસ દોડી આવી હતી.
પશુઓને ડીસા જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટમાં મોકલવામાં આવી હતી. વિશાલભાઇ પંચાલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે નાસી છૂટેલા ટ્રક ચાલક અને અન્ય શખ્સ સામે પશુ ક્રૂરતા અધિનિયમનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update