1 વર્ષ અગાઉ ધંધાર્થે નીકળેલા યુવકે યુવતી સાથે ફૂલહાર કર્યાં હતા
બનાસકાંઠાનો એક યુવક ઘરેથી નવસારી કમાવા ગયો હતો. જ્યાંથી તે મુંબઇ જઇ પોતે અનાથ હોવાનું કહી એક અનાથ યુવતી સાથે મંદિરમાં ફૂલહાર કર્યાં હતા. જેમને ત્યાં પુત્ર જનમ્યો હતો.
જોકે, તે પછી પત્નીને મૂકીને પરત બનાસકાંઠામાં આવતાં તેણીએ બનાસકાંઠા 181 અભયમની ટીમની મદદ લઇ ઘરે પહોંચી ન્યાય મેળવ્યો હતો.
બનાસકાંઠા જીલ્લાના એક યુવકના 8 વર્ષ અગાઉ સાટા પધ્ધતિથી લગ્ન થયા હતા. જોકે, 3 વર્ષ અગાઉ ઘરેથી નવસારી કમાવવા ગયા પછી ઘરે પરત આવ્યો ન હોઇ પત્નીએ સામેથી છૂટાછેડા લીધા હતા.
તે દરમિયાન મુંબઇ જઇ આ યુવકે પોતે અનાથ હોવાનું ખોટું બોલી એક અનાથ યુવતી સાથે મંદિરમાં ફૂલહાર કર્યાં હતા. જેમને 3 માસ પહેલાં પુત્રનો જન્મ થયો છે.
જોકે, યુવક તેની પત્નીને કહ્યા વગર લાંબો સમય સુધી બહાર રહેતો હતો. જેમાં પણ છેલ્લા 15 દિવસ પહેલાં વતનમાં જાઉં છું તેમ કહી ઘરે ન આવતાં તેણી પુત્રને લઇને બનાસકાંઠામાં આવી હતી.
જ્યાં બનાસકાંઠા 181 અભયમની મદદ લઇ તેના પતિના ઘરે પહોંચી હતી. જોકે, પરિવારજનોએ યુવક અહીંયા આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. આથી જ્યાં કાઉન્સેલરે પરિવારજનોને સમજાવતાં તેને રાખવા માટે તૈયાર થયા હતા.
યુવકના સાટામાં છૂટાછેડા થતાં તેની બહેનનો સંસાર પણ વિખેરાયો છે. ચિંતામાં બહેનને હેમરેજ થઇ ગયું છે. આંખોનું ઓપરેશન કરાવવું પડયું છે.
આ અંગે મુંબઇથી 3 માસના બાળકને લઇને પતિને શોધતી શોધતી બનાસકાંઠામાં આવેલી અનાથ યુવતીએ 181 અભયમની ટીમને જણાવ્યું હતું કે, ‘હું મજૂરી કરીને પણ પરિવારનું ગુજરાન ચલાવીશ. મને પતિના ઘરે રખાવો આથી કાઉન્સેલરે 2 કલાક સુધી કાઉન્સિલીંગ કરી તેમને સમજાવ્યા હતા.’
યુવક ઘરેથી કમાવા ગયા પછી લાંબા સમય સુધી પરત આવ્યો ન હતો. આથી 1 વર્ષ અગાઉ પરિવારજનોએ તેની સાથે કોઇ વ્યવહાર ન હોવા અંગેની નોટીસ પણ આપી હતી.
From-Banaskantha update