નવો પુલ બનાવવામાં આવે તેવી લોકો અને વાહનચાલકોની માંગ ઉઠી છે
પાલનપુરના મેરવાડા ગામ નજીક બનાવેલો વર્ષો જૂનો પુલ જર્જરીત હાલતમાં છે. જેને લઇને લોકો ભયભીત બન્યા છે. તાજેતરમાં જ મોરબીની દુર્ઘટનાને પગલે અન્ય કોઇ વિસ્તારમાં આ પ્રકારની ઘટના ન
બને તેને લઇને અહીં નવો પુલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. વર્ષો જૂના આ પુલને લઇ વાહનચાલકો અને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠાના પાલનપુરના મેરવાડા-રતનપુર ગામ વચ્ચે આવેલો વર્ષો જૂનો પુલ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ પુલ ઉપરથી દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થાય છે.
અંબાજી માર્ગને જોડતાં આ માર્ગ પર વર્ષો જૂનો પુલ આવેલો છે. આ પુલને 50 વર્ષથી વધુ વર્ષ વિત્યા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
આ પુલ અત્યારે જર્જરીત હાલતમાં હોવાથી લોકોમાં ભય છે. પુલની ઉપરની સાઇડની બંને દીવાલો તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. જે રીપેરીંગ બાંધકામ કરવામાં આવ્યું છે તે હાથ લગાવતાં ઉખડી રહ્યું છે.
જેને લઇ રીપેરીંગની કામગીરી પર પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. પુલની ઉપરની દીવાલ પર લોખંડની ઇન્ગલો બહાર દેખાઇ રહી છે. જે દીવાલો માટે બાંધકામ કરવામાં આવવાનું હોય તે કરવામાં આવ્યું નથી અને જેને લઇ દુર્ઘટના સર્જવાની ભીતિ સેવાઇ રહી છે.
From-Banaskantha update