ભાણીનો મૃતદેહ જોઇને મામાની આંખો પહોળી થઇ ગઇ : કપાળ ફાટી જતાં આંખ બહાર આવી ગઇ હતી
‘કીસૂબા કહેતાં હતા કે એ મને ગમે છે મારે લગ્ન કરવા છે અને ગોપાલસિંહ પણ કહેતાં કે હું લઇ જઉ તો એને જ લઇ જઉ. કીસૂબાને ગોપાલસિંહ ગમતા હતા એટલે અમે એના લગ્ન કરાવી આપ્યા હતા.
થોડા ઘણા ઝઘડા તો ચાલતાં હશે. પણ માણસની આ કેવી રીત હશે કે, એણે મર્ડર કરી નાખ્યું ?’ ભાવુક થઇને મૃતક કીસૂબાના નાના બહેન લાલુબા કહે છે. લાલુબા આગળ વાત કરે છે કે ‘જે દિવસે એમની હત્યા
થઇ તે દિવસે લગ્નના 10 મહીના પૂરા થવામાં 4 દિવસ જ ખૂટતાં હતા. કીસૂબા ફોનમાં 2-3 વખત એવું કહ્યું હતું કે, ગોપાલસિંહને લફરુ હતું એટલે ઘરમાં બબાલ થઇ હતી અને એવું પણ કહ્યું હતું કે, છોકરીના
ફોન આવે છે. પણ વધારે કોઇ વાત કરી ન હતી. એમને કદાચ એવું હોય કે મારે પપ્પા કે ભાઇ કોઇ છે નહીં અને મમ્મી ચિંતા કરશે.
તે સ્વભાવે એટલા સારી હતી કે આખું ગામ રડે છે. કહે છે કે એના કરતાં કીસૂબાને કાઢી મૂક્યા હોત તો સારું હતું. પિયરમાં મજૂરી કરી લેત અને એની મમ્મીનું પણ પૂરું કરત.’
દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ઠાકોરવાસમાં રહેતાં ગોપાલસિંહ વાઘેલાના લગ્ન 10 મહીના અગાઉ વડગામ તાલુકાના અંધારીયાના બાલસિંગ પૃથ્વીરાજસિંહ ડાભીની પુત્રી કીસૂબા જોડે થયા હતા.
પરંતુ લગ્ન બાદ ગોપાલસિંહને લફરુ હોવાની જાણ થતાં પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં હતા. ત્યારે નવરાત્રિ દરમિયાન તા. 4 ઓક્ટોબરની રાત્રે પોતાની ફરી એક વખત બંને વચ્ચે ઝઘડો થતાં
ગોપાલે પત્ની કીસૂબાના માથામાં ધોકા વડે ફટકા મારી દેતાં તેનું ઘરમાં જ મોત નિપજ્યું હતું. જેને છૂપાવવા માટે ગોપાલે અકસ્માતની આખી વાર્તા ઘડી નાખી હતી અને પરિવાર અને પોલીસ બધાનું આગળ જૂઠ ચલાવ્યું હતું.
પિતરાઇ ભાઇ જોઇ ગયો તો કહ્યું. આ અંગે તપાસ અધિકારી પી.એસ.આઇ. એસ.ડી. ચૌધરીએ કહ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે ઝઘડા ચાલતાં જ હતા.
છોકરીના હીસાબે કોઇ સાથે પતિનું અફેર હતું. બનાવ બન્યો તે દિવસે બંને એમના ઘરની અંદર હતા. એમનું ઘર 2 રૂમવાળુ હતું.
ઝઘડો શરૂ થયો પછી રાત્રે 10 વાગ્યાની આજુબાજુ માથામાં 2 ફટકા મારી દીધા હતા. એની બાજુમાં જ એનો પિતરાઇ ભાઇ રહે છે. તે પોતાના ઘરમાં જતો હતો.
તે સમયે કીસૂબાની બૂમ સાંભળી. તે જ સમયે ગોપાલ હાથમાં ધોકા સાથે બહાર આવતો હતો. એટલે એમણે ગોપાલને પૂછ્યું કે શું થયું ? તો એણે કહ્યું કે મે માર્યું.
ત્યારબાદ પિતરાઇ ભાઇએ ગોપાલના ભાઇને જાણ કરી હતી અને કીસૂબાને દવાખાને લઇ જવા પ્રોસેસ કરી હતી. ગામમાંથી એક ઇકો લઇ પાલનપુર હોસ્પિટલે ગયા હતા. ગોપાલ ઘરે જ રહ્યો હતો.
તબીબે એને મૃત જાહેર કરી હતી. ત્યાંથી કીસૂબાના મૃતદેહ સાથે બધા ઘરે આવ્યા હતા. કીસૂબા મરી ગયા છે એમ કહીને પોલીસને જાણ કરવા કહ્યું હતું.
ત્યારબાદ ગોપાલ ફરી ગયો હતો અને કહ્યું કે મે કયા મારી છે ? અમે આવતાં હતા અને તે બાઇક પરથી પડી ગઇ તો વાગ્યું છે. પછી અંતિમ વિધીની પ્રોસેસ કરી હતી. કીસૂબાના પિયરમાં જાણ કરી હતી.
છોકરીના મામા વેલસીભાઇએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી કે, ગોપાલ અકસ્માતની વાત કરે છે પરંતુ અમને કોઇ બીજો બનાવ લાગે છે. એના પતિ કે અન્ય કોઇ તો પોલીસ સ્ટેશનમાં આવ્યા જ ન હતા.
અમે તપાસ ચાલુ કરી ત્યારે ગોપાલે અમને અકસ્માતની આખી સ્ટોરી ઘડી નાખી હતી એટલે અમે એફ.એસ.એલ. ને બોલાવી હતી. એક સ્કૂલ આગળ બમ્પ હતો.
તે જગ્યા ગોપાલે બતાવીને કહ્યું કે, હું બાઇક લઇને નવરાત્રિ જોવા જતો હતો. ત્યાં તે બાઇક પરથી પડી ગઇ હતી. એમાં એને ઇજા થઇ હતી.
પરંતુ બમ્પ સાવ નાનો હતો કોઇ ત્યાંથી કોઇ માણસ પડીને મરી જાય એટલો મોટો ન હતો. પરંતુ સ્થળ પર બ્લડ સ્પોટ કે અન્ય વસ્તુ મળી નહીં.
અમને પહેલેથી શંકા હતી. બીજું એ કે લાશના ફોટા જોઇને પણ અમને જાણ થઇ ગઇ હતી કે, આ ઇન્જરી પડીને વાગેલાની નથી.
પરંતુ તે વખતે અમારી પાસે કોઇ એવિડેન્સ ન હતા. એટલે ગોપાલે કહ્યું તે પ્રમાણે એફ.એસ.એલ. તપાસ કરાવી હતી. તેની પૂછપરછ કરી હતી.
ગામમાંથી પણ વાત જાણી હતી. બીજી વખત એની ક્રોસ પૂછપરછ કરી હતી ત્યારે એણે સ્વીકારી લીધું કે ગામની જ એક છોકરી સાથે અફેર હતું.
એના કારણે ઝઘડા ચાલતાં હતા. પછી બીજું જૂઠ બોલ્યો કે તે દિવસે પણ ઝઘડો થયો હતો ત્યારે હું પગ ઉપર ધોકો મારવા ગયો પણ કીસૂબા નીચે બેસી ગયા તો એમને માથામાં વાગ્યું હતું.
પરંતુ માથામાં કપાળ પર અને કાનની બાજુમાં એમ 2 ફટકા મારેલા હતા. પગમાં મારવા જાય અને કોઇ નીચે બેસી જાય તો 2 ફટકા કોઇ ન મારે. સીધી વાત એ હતી કે એણે બધુ જાતે જ કર્યું હતું.
એણે એવું પણ કહ્યું હતું કે, મે ઇકો ગાડી અકસ્માતના સ્થળે બોલાવી હતી. ત્યાંથી કીસૂબાને દવાખાને લઇ ગયા હતા. પણ ઇકો ચાલકનું કહેવું કઇક અલગ જ હતું. તેણે પોતે ઘરેથી લઇ ગયાની વાત કરી હતી.
ત્રીજું એક દિવસ 2-3 વ્યક્તિને સાથે લાવીને તપાસ શરૂ કરી હતી. તે વખતે એના પિતરાઇ ભાઇએ રાત્રે જે ઘટના બની તે અમને કહી હતી. ગોપાલસિંહના ભાઇઓ વગેરે નવરાત્રિ જોવા ગયા હતા.
જ્યારે માતા-પિતા અને બહેન ખેતરમાં રહે છે. એટલે ઘરે એ બે જ હતા. ગોપાલના મગજમાં એવું પ્લાનિંગ ન હતું કે આજે જ મારી નાખવી છે પણ ઝઘડા ચાલુ જ હતા અને તે વખતે ધોકો મારી દીધો હતો.
કીસૂબાના મામાના દીકરા કહે છે કે અમને સવારે જાણ કરાઇ હતી. ત્યારે અમે તો સ્મશાનમાં પહોંચ્યા હતા. અત્યારે મારા મોટા બાપુજી વેલસીભાઇએ કીસૂબાનું મોં જોયું તો એમને શંકા ગઇ કે અકસ્માતમાં આવું ન વાગે. કીસૂબાના કપાળમાં બધુ તોડી નાખ્યું હતું. આંખ પણ નીકળી ગઇ હતી.
એટલે અમે એમની સાથે વાત કરી તો એ લોકોએ અમને અકસ્માત થયો છે એવું જ રટણ કર્યે રાખ્યું હતું. રાત્રે અમને જાણ થઇ હોત તો અમે ત્યારે જ પોલીસને બોલાવી લીધી હોત.
લગ્ન બાદ એમની પહેલી દિવાળી જ હતી. એમને ઝઘડા ચાલે છે એવી અમને કોઇ જ જાણ કરી નથી. નહીંતો અમે ક્યારેય ઢીલું ન મૂકીએ. અમને એવું જાણવા મળ્યું કે, ગોપાલસિંહને બાજુમાં જ કોઇ લફરુ હતું. એમાં એમણે આવું કામ કરી નાખ્યું હતું.
જ્યારે કીસૂબાના મામા જેમણે ફરિયાદ નોંધાવી હતી અને હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. એમણે કહ્યું કે ‘અમે સ્મશાનમાં ગયા હતા.
તેનું મોં જોયું. વાગેલાનું નિશાન હતું પણ મને થયું કે એક્સિડેન્ટ આવું ન થાય. મે મારા ભાઇને વાત કર્યાં બાદ પોલીસમાં જાણ કરી હતી. ગોપાલને પૂછતાં એણે ગરબા અને અકસ્માતવાળી સ્ટોરી અમને કહી હતી.’
કીસૂબાથી નાનાબેન લાલુબાએ કહ્યું હતું કે, અમને એવી જાણ થઇ છે કે તે લોકો અમને રાજીનામું મૂકવા (સમાધાન કરવા) કહે છે. એમણે આ વાત સીધી અમને નથી કરી પણ બીજા બધાને કહે છે. પણ અમારે એવું કઇ કરવું નથી.
અમારે રૂપિયા ખાવાવાળું કોઇ છે નહીં. અમારે તો ફક્ત ન્યાય જ જોઇએ છે. એમણે કેમ આવું કર્યું ? ઘટના વિશે વાત કરતાં લાલુબા કહે છે કે અમે એક જ ગામમાં રહી છીએ. ઘર પણ નજીક જ છે. તે રાત્રે 12:00 વાગ્યે એમણે એમના મામાને ફોન કર્યો હતો.
અમને ફોન ન કર્યો હતો. એમના મામાએ આવીને અમને રાત્રે જગાડયા હતા કે નવરાત્રિ જોવા જતાં તમારી દીકરીનો એક્સિડેન્ટ થઇ ગયો છે. પરંતુ તે મર્ડર જ છે કારણ કે એક્સિડેન્ટ થાય તો હાથે અને પગે નિશાન હોવા જોઇએ. મારા મમ્મી રાત્રે ગયા હતા.
એમણે જોયું પણ એવા કોઇ નિશાન ન હતા. ખાલી માથામાં વાગેલું હતું. અમે પૂછ્યું કે અમને ફોન કેમ ન કર્યો તો કહે કે તમારો નંબર મારી પાસે ન હતો. તો મે કહ્યું કે, આટલા દિવસથી ફોન કરો છો ત્યારે મારો નંબર હતો ! એટલે એણે બીકના માર્યાં જ અમને ફોન કર્યો ન હતો.
મારી બહેન ધો. 7 ચોપડી ભણેલી હતી. ખેતી અને ખેત મજૂરીનું કામ કરતી હતી. મારા પપ્પા વર્ષ-2005 માં મૃત્યુ પામ્યા હતા. પછી કીસૂબાએ પોતે ખેતી કરીને એના લગ્નનો ખર્ચો કાઢ્યો હતો. બધુ પોતાના રૂપિયા પર કર્યું હતું. મારા મમ્મી સાથે ખેત મજૂરી કરીને દાગીના બનાવ્યા હતા.
અમે તો થોડું ઘણું એને આપ્યું હતું. અમે દર ભાદરવી પૂનમે અંબાજી ચાલતાં હતા. આ વર્ષે એના લગ્ન થઇ ગયા તો એ સાસરેથી અમારી સાથે આવી હતી.
એ બંને જ્યારે અમારા ઘરે આવતાં ત્યારે ખૂબ સારી રીતે બેસતાં એટલે તો અમને ખબર ન પડી. એ બહુ સારું રાખતો પણ અમને ખબર ન હતી કે એ આવી રીતે મર્ડર કરી નાખશે.
કીસૂબાના ઘરમાં એમની વિધવા માતા અમતુબા બાલસિંઘ ડાભી અને 3 બહેનો. સૌથી મોટા કોમલબા, પછી કીસૂબા અને છેલ્લા લાલુબા. જેમાંથી કોમલબા અને કીસૂબાના લગ્ન થઇ ગયા હતા. જ્યારે આરોપી ગોપાલ મજૂરી કામ કરતો હતો.
From-Banaskantha update