ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ભાજપના નેતા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવ્યા બાદ મટીરીયલવાળાઓને પૈસા ન ચૂકવી છેતરપિંડી આચરતા ઉદયપુરના હિરન મગરી પોલીસ મથકે નોંધાતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.
ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ભાજપના નેતા માવજી દેસાઈ સામે રાજસ્થાનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે જેમાં માવજીભાઈ દેસાઈની એરોમા રિયાલિટીઝ કંપની લિમિટેડ રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 970 મકાન બનાવ્યા હતા અને મટીરીયલ પૂરું પાડનાર વેપારીઓ સાથે કરાર કર્યા હતા.
આ મકાનો બની ગયા બાદ એક પણ વેપારીને પૈસા ચૂકવવામાં આવ્યા નથી જે માટે 14 જેટલા વેપારીઓએ તેમના મટીરીયલના પૈસા માટે માવજી દેસાઈ પાસે વારંવાર ઉઘરાણી કરી હતી પરંતુ તેમને પૈસા આપવાના બદલે તેઓ ભાજપના નેતા હોવાનો રોફ બતાવી વેપારીઓને ધમકાવ્યા હતા.
આખરે કંટાળેલા વેપારીઓએ ઉદયપુરમાં હિરન મગરી પોલીસ મથકે માવજી દેસાઈ સહિત સાત લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં 14 જેટલા વેપારીઓ પાસેથી માલ સામાન લીધા બાદ પૈસા ન ચુકવતા પોલીસે માવજી દેસાઈ સહિતે સાત લોકો સામે આઇપીસી કલમ 420, 406 અને 420 B મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના 14 જેટલા વેપારીઓ સાથે છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલી માવજી એન્ડ કંપની સામે રાજસ્થાન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે વેપારીઓએ પોતાના પૈસા પરત મેળવવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ લેખિત રજૂઆત કરી છે. એક મહિના બાદ પણ નથી તો માવજી દેસાઈની એક પણ સાગરીતની અટકાયત કરવામાં આવી કે નથી તો એક પણ વેપારીને પૈસા ચૂકવવામાં આવ્યો.
ત્યારે આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને ભાજપના કદાવર નેતાને ભાજપ સરકાર પણ ટિકિટ આપશે કે પછી કાપશે તે જોવું રહયુ…
From – Banaskantha Update