કેજરીવાલ અને ભગવંત માન સભાને સંબોધશે
ડીસામાં આગામી તા. 17 મીએ એક સાથે 2 મુખ્યમંત્રીઓની યોજાનાર સભાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી સરદાર ભગવંત માન ચૂંટણી લક્ષી સભાને સંબોધશે.
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એક પછી એક રાજકીય નેતાઓનો ગુજરાતમાં મુલાકાતોનો સીલસીલો વધી ગયો છે. અત્યારે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ એક પછી એક ગુજરાત આવીને સભાઓ ગજવી રહ્યા છે.
ત્યારે એકવાર ફરી ગુજરાતની મુલાકાતે દિલ્લી અને પંજાબના મુખ્યમંત્રી આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં પણ આગામી તા. 17 ઓક્ટોબરના રોજ ડીસા હવાઇ પિલ્લર મેદાનમાં જનસભાને સંબોધશે.
આ વિશાળ જનસભાની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. બનાસકાંઠા જીલ્લાના મધ્યમાં જ ડીસા શહેર આવેલું છે. ડીસા બેઠક જીલ્લાની મોટાભાગની વિધાનસભા બેઠકોને અસર કરતી હોય છે.
આ ઉપરાંત ડીસા બેઠક પર આમ આદમી પાર્ટીએ ચૌધરી સમાજના શિક્ષિત યુવાનને ઉમેદવાર જાહેર કરતાં જીલ્લાની મોટી વોટ બેંક માનવામાં આવતી ચૌધરી સમાજ આ બેઠકમાં જોડાઇ શકે છે. ત્યારે આ સભા બાદ ભાજપ અને કોંગ્રેસને પણ પોતાની રાજકીય ગણતરીઓ બદલવી પડે તો નવાઇ નહી.
From-Banaskantha update