બનાસકાંઠાના ડીસામાં મેડિકલ જગતમાં ફરી એકવાર જવલ્લેજ જોવા મળતી ઘટના સામે આવી છે. 50 વર્ષીય મહિલાના પિત્તાશયમાં ઓપરેશન દ્વારા અધધ 765 જેટલી પથરીઓ કાઢવામાં આવી.
ડીસા તાલુકાના ઝેરડા ગામની 50 વર્ષીય મહિલાના પેટમાં છેલ્લાં ઘણા સમયથી સતત દુખાવો થઈ રહ્યો હતો. જોકે, મહિલાએ આ બાબતે કોઈ જ ધ્યાન ના આપતા 10 દિવસ અગાઉ તેને અસહ્ય દુખાવો શરૂ થઈ ગયો હતો. જેથી તેમના પરિવારજનોએ મહિલાને તરત જ ડીસાની ખાનગી હોસ્પિટલમાં ઈલાજ માટે લાવ્યાં હતા.
જ્યાં તપાસ કરતા તેના પિત્તાશયમાં પથરી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ડૉ. આનંદ પટેલે તેમના વધુ ટેસ્ટ કરાવી સારવાર શરૂ કરી હતી. આ મહિલાના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેઓએ આયુષ્માન કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે સારવાર કરવાની તજવીજ હાથ ધરી હતી.
ઓપરેશન દરમિયાન મહિલાના પિત્તાસયમાંથી અસંખ્ય પથરીઓનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો. બહાર કાઢતા પથરીઓની ગણતરી કરતા 765 જેટલી નાની મોટી પથરીઓ કાઢવામાં આવી હતી. આ અંગે ડૉ.આનંદ પટેલે જણાવ્યું હતું કે, આવી ઘટના મેડિકલ લાઈનમાં ભાગ્ય જોવા મળતી હોય છે.
સામાન્ય રીતે પિત્તાશયમાં ઇન્ફેક્શન અને લાંબા ગાળા સુધી તેનો ઈલાજ ન થતાં આવી ઘટના બનતી હોય છે. આ મહિલાના પિત્તાશયમાં પણ અસંખ્ય પથરીઓ હતી જેને દૂરબીન વડે ઓપરેશન કરી બહાર કાઢવામાં આવી છે.
સામાન્ય રીતે પિત્તાશયમાં 10થી 20 જેટલી પથરીઓ નીકળતી હોય છે, પરંતુ આ ઘટનામાં 765 જેટલી પથરીઓ નીકળી તે ડોક્ટર માટે પણ ચેલેન્જ રૂપ ઘટના છે. આવા દર્દીઓએ સમયસર સારવાર શરૂ કરાવી જોઈએ તેવી ડૉક્ટરે સલાહ આપી હતી.
From – Banaskantha Update