6 માસ બાદ હજુ પણ સરકારે સહાય પેટે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી
રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળોને રૂ. 500 કરોડની સહાયની જાહેરાત કર્યાંના 6 માસ થયા બાદ પણ સહાય પેટે એક પણ રૂપિયો ન ચૂકવતાં રાજ્યભરમાં ગૌ માતાઓના લાભાર્થે બંધનું એલાન
આપવામાં આવ્યું છે. જેમાં ડીસામાં મોટાભાગના વેપારી એસોસીયેશને બંધને ટેકો જાહેર કરતાં ડીસા સજ્જડ બંધ રહેશે તેવું લાગી રહ્યું છે.
કોરોના મહામારી બાદ રાજ્યભરમાં ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં આશ્રય લઇ રહેલા અબોલ જીવો માટે દાનનો પ્રવાહ ઘટી જતાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને પશુઓની નિભાવણી મુશ્કેલ ભરી બની ગઇ હતી.
જેમાં સરકારે આ વર્ષે બજેટમાં ગૌશાળા પાંજરાપોળને સહાય કરવા રૂ. 500 કરોડની જોગવાઇ કરી હતી. જોકે, 6 માસ બાદ હજુ પણ સરકારે સહાય પેટે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી.
ગૌશાળા પાંજરાપોળ સંચાલકો છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે સતત સરકારનું ધ્યાન દોરી રહ્યા છે તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલતાં હવે રાજ્યભરની તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ગૌમાતાઓના લાભાર્થે તા. 21 સપ્ટેમ્બરે બંધનું એલાન આપ્યું છે.
ત્યારે બનાસકાંઠાના વેપારી મથક ગણાતાં ડીસામાં પણ શહેરના મોટાભાગના વેપારી એસોસીયેશને બંધને ટેકો જાહેર કર્યો છે. આ ઉપરાંત વિવિધ, સામાજીક અને સ્વૈચ્છીક સંગઠનોએ પણ બંધને પોતાનું સમર્થન આપતાં ડીસા સજ્જડ બંધ રહે તેવું લાગી રહ્યું છે.
From-Banaskantha update