અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર : સ્થાનિક લોકોએ જે.સી.બી. મશીનથી ખાડો ખોદી પશુઓને દફનાવ્યા
ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર શનિવારે મુડેઠા નજીક અજાણ્યા ટ્રેલરની અડફેટે આવતાં 4 પશુઓના ઘટનાસ્થળે કમકમાટી ભર્યાં મોત નિપજ્યા હતા. જયારે અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર થઇ જતાં જીવદયાપ્રેમીઓમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા-રાધનપુર હાઇવે પર શનિવારે રખડતાં પશુઓના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રેલર ચાલક મુડેઠા ગામ નજીકથી પસાર થઇ રહ્યો હતો.
તે દરમિયાન અચાનક રખડતાં પશુઓ રસ્તા વચ્ચે દોડી આવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 પશુઓના ઘટનાસ્થળ કરુણ મોત નિપજ્યા હતા.
આ ઘટનાને પગલે આજુબાજુના ગ્રામજનો અને જીવદયાપ્રેમીઓ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં અજાણ્યો ટ્રેલર ચાલક ત્યાંથી ફરાર થઇ જતાં જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો.
બાદમાં સ્થાનિક લોકોએ ચારેય પશુઓના મૃતદેહને રોડ પરથી હટાવી જે.સી.બી. મશીનથી ખાડો ખોદાવી દફનાવ્યા હતા.
From-Banaskantha update