1 વર્ષ અગાઉ કેટલાંક ભેજાબાજ કૌભાંડીઓએ આ જમીન બારોબાર વેચી મારવાનું કૌભાંડ આચર્યું હતું : અન્ય આરોપીઓ ફરાર
બનાસકાંઠાના ડીસામાં 1 વર્ષ અગાઉ શહેરમાં વચ્ચોવચ આવેલી કરોડો રૂપિયાની જમીનના ખોટા દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ બનાવી બારોબાર વેચી મારવાના કૌભાંડમાં મુખ્ય આરોપીની રેગ્યુલર જામીન
અરજી ડીસાની નામદાર કોર્ટે નામંજૂર કરી છે. આ કેસમાં હજુ સુધી 2 આરોપીઓ ઝડપાયા છે. જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં વચ્ચોવચ આવેલ ડોક્ટર હાઉસ અને ગોલ્ડન પાર્કમાં 500 થી પણ વધુ લોકો માલિકી સાથે વસવાટ કરે છે.
1 વર્ષ અગાઉ કેટલાંક ભેજાબાજ કૌભાંડીઓએ આ જમીન બારોબાર વેચી મારવાનું કૌભાંડ આચર્યું હતું. ખોટા દસ્તાવેજ, ખોટા ડોક્યુમેન્ટ અને રેકોર્ડ ઉભા કરી આ જમીન બારોબાર વેચી મારી કૌભાંડ આચર્યું
હોવાની ફરિયાદ ડીસા દક્ષિણ પોલીસ મથકે નોંધાઇ હતી. જેમાં પોલીસે અત્યાર સુધી માત્ર 2 આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે અન્ય આરોપીઓ હજુ પણ ફરાર છે.
ઝડપાયેલા આરોપીઓમાંથી પાટણના કલાના ગામના મનુભાઇ દેસાઇએ તેમની રેગ્યુલર જામીન માટેની અરજી ડીસાની એડી. સેશન્સ કોર્ટમાં મૂકી હતી. જેમાં અરજદાર તરફથી એડવોકેટ પી.એલ. શર્મા, સરકાર
તરફે એ.જી.પી. એસ. કે. જોષી અને ફરિયાદી તરફે ભાવિન ડી. કાપડીયાની રજૂઆતને ધ્યાને લઇ નામદાર કોર્ટે ઓર્ડરમાં જણાવ્યું હતું કે, ‘આ કેસના કાગળો અને રેકોર્ડ ઉપરની હકીકતોને ધ્યાને લેતાં
આરોપીઓ સામે પ્રથમ દર્શનીય કેસ અને વેલ ફાઉન્ડેડ મટીરીયલ દ્રષ્ટિગોચર થાય છે. ગુનાની ગંભીરતા અને મોડેસ ઓપરેન્ડી જોતાં હાલની અરજી ન્યાયોચીત્ત જણાતી નથી તેમ કહી આરોપીના જામીન નામંજૂર કર્યાં છે.’
આરોપીઓના નામ
– પોપટભાઇ ગગાજી હેમાસીયા (ઠાકોર)
– ડામરાભાઇ પુરાભાઇ પટેલ
– જીતેન્દ્રકુમાર હેમરાજભાઇ ચૌધરી
– રણછોડજી હાલાજી ઠાકોર
From-Banaskantha update