સ્કૂલના બાળકો અને બાઇક સવારને બચાવતાં વાઘાસણના પરિવારને માર પડયો : થરાદ પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
થરાદ તાલુકાના બેવટા ગામમાં વાઘાસણના ચાલકની કાર ઓચિંતા આવેલા સ્કૂલના બાળકો અને બાઇક સવારને બચાવવા વાડમાં ઘૂસાડતાં ત્યાં ઉભેલા 3 શખ્સોએ ધોકા અને લાકડી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે.
જયારે પરિવારના 3 વ્યકિતઓને ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે થરાદ પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, થરાદ તાલુકાના વાઘાસણના તારાભાઇ સોનાજી મેઘવાળ બુધવારે બપોરના 12-00 વાગ્યાના સુમારે ભાઇ અને તેમની પત્ની સાથે કાર લઇને વેવાઇ શંકરજી વધાજી પારેગી (રહે. બેવટા, તા.થરાદ) ના ઘરે મળવા ગયા હતા.
તે દરમિયાન સાંજના પાંચેક વાગ્યાના સુમારે બેવટા ગામની ઢાંણી શાળાના વળાંકમાં આવતાં 5-00 વાગ્યે સ્કૂલ છૂટતાં એક બાજુથી સ્કૂલના બાળકો અચાનક આવતાં અને સામેથી બાઇક આવતાં તેમને
બચાવવા જતાં રસ્તાની વાડમાં કાર જવા દીધી હતી. આથી બાળકો અને બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો.
આ વખતે ત્યાં ઉભેલા 3 અજાણ્યા શખ્સોએ તેની પાસે આવીને અચાનક ધોકા અને લાકડી વડે જીવલેણ હુમલો કરી માથામાં આડેધડ લાકડી મારતાં લોહીયાળ ઇજાઓ થઇ હતી.
પત્ની વદુબેન અને ભાઇ જવાનજી છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ ધોકો ફટકાર્યો હતો. આ વખતે બીજા ઘણા લોકો આવી જતાં ત્રણેય શખ્સો હવે આવી રીતે ગાડી ચલાવી છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ફરાર થઇ ગયા હતા.
ત્રણેય ઇજાગ્રસ્તોને થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ 3 શખ્સો દાનાભાઇ ખેંગારજી પટેલ, છેલાભાઇ ખેંગારજી પટેલ અને ભાવાભાઇ ખેંગારજી પટેલ હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે થરાદ પોલીસ મથકે બેવટા ગામના ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update